ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

વિરાટ અને રોહિત લયમાં હોય તો તેમને આઉટ કરવા મુશ્કેલ : જાડેજા

ભારતીય ઓલરાઉન્ડરે કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝ સામે આ બંને પ્લેયરોએ કોઈપણ જાતની ઉતાવળ નહોતી કરી અને પરિસ્થિતિ મુજબ બેટીંગ કરી

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે, જો કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા લયમાં બેટીંગ કરી રહ્યા હોય તો તેમના પર અંકુશ લગાવવો મુશ્કેલ છે. આ બંને બેટ્સમેનોએ વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી વન-ડે મેચમાં આક્રમક બેટીંગ કરીને ભારતીય ટીમને સરળતાથી વિજય અપાવ્યો હતો.

જાડેજાએ કહ્યું હતું કે, જો આ બંને સેટ થઈ જાય તો તેમને આઉટ કરવા ઘણું મુશ્કેલ છે. આ બંને બેટ્સમેનો મેદાનમાં અને હવામાં યોગ્ય રીતે શોટ ફટકારી શકે છે. આવા બેટ્સમેનોને આઉટ કરવા બોલરો માટે ઘણુ મુશ્કેલ છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારનારા વિરાટ અને રોહિત વિશે જાડેજાએ કહ્યું હતું કે બંનેએ પોતાની ઈનિંગ્સ દરમિયાન કોઈ ઉતાવળ કરી નહોતી. તેમણે પરિસ્થિતિને અનુરૂપ બેટીંગ કરી.

(3:40 pm IST)