વર્લ્ડ કપમાં રવાના થતા પહેલા કોચ રવિ શાસ્ત્રીએ કર્યા ધોનીના વખાણ
નવી દિલ્હી: ભારતીય ટીમમાં સામેલ વિકેટકિપર-બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે તેવી જાહેરાત કોચ રવિ શાસ્ત્રીએ ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા કરી હતી. ટીમ ઈન્ડિયાના કોચ શાસ્ત્રીએ કહ્યું કે, ભારતની પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને ટીમ ઈન્ડિયા ત્રીજી વખત વર્લ્ડકપ જીતવા માટે સક્ષમ છે. ધોનીના ભારોભાર વખાણ કરતાં શાસ્ત્રીએ કહ્યું હતુ કે, મેચ દરમિયાન ઘણી નાની-નાની બાબતો એવી હોય છે કે, જે નિર્ણાયક સાબિત થઈ શકે તેવી હોય છે અને આ બાબતો પર ધોની ગજબનાક નિયંત્રણ ધરાવે છે. ૩૭ વર્ષની ઉંમરે પહોંચેલો ભારતીય કેપ્ટન ધોની કારકિર્દીનો ચોથો વર્લ્ડકપ રમવા જઈ રહ્યો છે. જે તેની કારકિર્દીનો આખરી વર્લ્ડકપ મનાય છે. શાસ્ત્રીએ ધોનીના વખાણ કરતાં કહ્યું કે, પોતાની વાતને બીજા સુધી પહોંચાડવાની આવડત ધોનીમાં છે. એક વિકેટકિપર તરીકે તેણે વર્ષો સુધી દર્શાવ્યું છે કે, વન ડેના ફોર્મેટમાં તેનાથી શ્રેષ્ઠ કોઈ નથી. માત્ર કેચ ઝડપવાની કે, સ્ટમ્પિંગ કે રનઆઉટની જ વાત નથી. રમતની ઘણી નાની-નાની બાબતો પર તેની પકડ છે. તાજેતરમાં રમાયેલી આઇપીએલમાં ધોનીએ ૮૩.૨ ની સરેરાશથી ૪૧૬ રન ફટકાર્યા હતા અને ચેન્નાઈની ટીમને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. શાસ્ત્રીએ કહ્યું કે, આઇપીએલમાં તેના ફૂટવર્કથી હું ખુબ ખુશ છું. બેટીંગ દરમિયાન તેના ફૂટવર્ક અને સ્ટ્રોક્સના પાવર જોયા બાદ મને એ બાબતનો અહેસાસ છે કે, આગામી વર્લ્ડકપમાં તે કેટલો નિર્ણાયક સાબિત થશે.