મહેન્દ્રસિંહ ધોની પણ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે ? આઇપીઅેલમાં ચેન્નઇ સુપર કિંગ્સે પંજાબને હરાવ્યા બાદ આપ્યા સંકેત
મુંબઇઃ ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીઅે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના સંકેત આપી દીધા છે. આઈપીએલ 2018ની 56મી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સએ કિંગ્સ ઈલેવન પંજાબને 5 વિકેટથી હરાવી દીધી. પુણેમાં રમાયેલા આ મુકાબલામાં પંજાબ માટે જીતવું ખૂબ જ જરૂરી હતું, પરંતુ ચેન્નઈએ એવું ન થવા દીધું અને તેમના અભિયાનને અહીંયા જ અટકાવી દીધું. ધોનીએ આ મેચમાં બેટિંગ ઓર્ડરમાં ઘણા ફેરફાર કર્યા. ધોનીએ તેની પહેલા હરભજન સિંહ અને દીપક ચહરને બેટિંગ માટે મોકલ્યા. આ મેચ બાદ પ્લેઓફ પહેલા ચેન્નઈની ટીમનો આત્મવિશ્વાસ ખૂબ વધ્યો હશે.
મેચમાં પોસ્ટ પ્રેઝન્ટેશનમાં જ્યારે ટીમ વિશે ધોની સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું, ચેન્નઈએ આ વર્ષે કેટલાક ખેલાડીઓને પોતાની સાથે રાખ્યા, પરંતુ બે વર્ષ બાદ અથવા આગલા વર્ષે જ તેમાં મોટાભાગના ખેલાડીઓ ટીમમાં નહીં જોવા મળે. તેણે કહ્યું કે, તેનું પોતાનું અને ટીમને કેટલાક ખેલાડીઓ આઈપીએલ કરિયરના હવે ખતમ થવા આવ્યું છે અને આવા સમયમાં તેઓ જ્યાં સુધી બની શકે ટીમ માટે સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.
ધોનીની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે આગલા વર્ષે તેઓ પોતાને આ ટીમમાં નથી જોતો. હાલમાં ટીમના પ્રદર્શન વિશે વાત કરતા ધોનીએ કહ્યું, અમારું પ્લેઓફ સુધીનું સફર શાનદાર રહ્યું છે અને અમારા પ્રયાસો આગળ પણ ચાલું રહેશે. અત્યાર સુધી રમાયેલી 9 સીઝનમાં ચેન્નઈ માત્ર એક એવી ટીમ છે જેણે દરેક પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. આ વર્ષે પણ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર ચેન્નઈને માનવામાં આવી રહી છે. ધોની, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવો જેવા ખેલાડીઓ ટીમમાં છે અને તેમનો પ્રયાસ રહેશે કે આ વખતે પણ ટાઈટલ પોતાના નામે કરે.
ચેન્નઈ માટે આ સિઝનમાં અંબાતી રાયડુ અને શેન વોટસન શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ટીમને દરેક મેચમાં આ બંને ખેલાડીઓ તરફથી સારી શરૂઆત મળતી રહી છે. તો બોલિંગમાં પણ દિપક ચહર અને શાર્દુલ ઠાકુર પણ સતત પ્રભાવિત કરી રહ્યા છે. પંજાબ વિરુદ્ધ અર્ધસદી ફટકારીને ટીમનો મીડલ ઓર્ડર બેટ્સમેન સુરેન રૈના પણ ફોર્મમાં પરત આવી ગયો છે. તો ધોની પણ સતત રન બનાવી રહ્યો છે. એવામાં કોઈ ટીમ માટે ચેન્નઈને હરાવવું સરળ નહીં હોય.