ઉબેર કપ ફાઈનલ ટુર્નામેન્ટમાં ભારતની હાર
નવી દિલ્હી: થાઈલેન્ડમાં શર થયેલી થોમસ અને ઉબેર કપ ફાઈનલ ટુર્નામેન્ટમાં સ્ટાર્સની ગેરહાજરીમાં રમી રહેલા ભારતને પ્રથમ મુકાબલામાં હારનો સામનો કરવો પડયો હતો. ભારતે મેન્સ સિંગલ્સના ટોચના ખેલાડી કિદામ્બી શ્રીકાંતને અને વિમેન્સ સિંગલ્સની ટોચની ખેલાડી પી.વી. સિંધુને આરામ આપ્યો છે. ભારતીય મેન્સ ટીમને ફ્રાન્સે અને વિમેન્સ ટીમને કેનેડાએ ૪-૧ના માર્જિનથી પરાજય આપ્યો હતો. આ સાથે થોમસ અને ઉબેર કપ ફાઈનલ્સના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાની ભારતની આશા ધુંધળી બની ગઈ છે. થોમસ કપમાં ભારતની મેન્સ ટીમને એચએસ પ્રનોય અને ટોચની ડબલ્સ જોડી એવા મનુ અત્રી અને બી. સુમીથ રેડ્ડીને ફ્રાન્સ જેવી લો રેન્ક ટીમ સામે ન રમવાનો નિર્ણય ભારે પડયો હતો.હવે થોમસ કપમાં ભારતીય મેન્સ ટીમ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.ઉબેર કપમાં ભારતની ટોચની સ્ટાર સાયના નેહવાલ કેનેડાની મિશેલ લી સામે પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ ૨૧-૧૫, ૧૬-૨૧, ૧૬-૨૧થી હારી ગઈ હતી. જોકે વિમેન્સ ડબલ્સમાં ભારતના મેઘના જાક્કામ્પુડી અને પૂર્વિશા રામની જોડીએ કેનેડાની મિશેલે થોંગ અને જોસેફીન વુ ને ૨૧-૧૯ ૨૧-૧૫થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. જોકે ભારત ત્યાર બાદની મેચો હારી ગયું હતુ.