ખેલ-જગત
News of Monday, 22nd February 2021

મોટેરા સ્‍ટેડિયમમાં રમાનાર ટેસ્‍ટ મેચમાં ઉમેશ યાદવનું પુનઃ આગમનઃ ઓપનિંગની શરૂઆત રોહિત અને શુભમન કરશેઃ શિરાજના સ્‍થાને બુમરાહની વાપસી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિરુદ્ધ રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝના ત્રીજા મુકાબલામાં ઉતરવા માટે તૈયાર છે. પ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે જીતી તો બીજી મેચમાં ભારતે વાપસી કરતા શ્રેણી સરભર કરી હતી. ત્રીજી મેચ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર નક્કી છે.

ઓપનિંગમાં રોહિત અને શુભમન

ભારતને સારી શરૂઆત અપાવવાની જવાબદારી રોહિત શર્મા અને શુભમન ગિલ પર રહેશે. પ્રથમ બે ટેસ્ટ મેચમાં આ જોડી નિષ્ફળ રહી પરંતુ આ મેચમાં બન્ને પાસે મોટી ભાગીદારીની આશા હશે.

પુજારા, કોહલી અને રહાણે

મિડલ ઓર્ડરમાં ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે જોવા મળશે. આ ત્રણેય પણ ટીમને મોટા સ્કોર તરફ લઈ જવાની જવાબદારી હશે.

રિષભ પંત વિકેટકીપર

ઓસ્ટ્રેલિયા સિરીઝથી ફોર્મમાં પરત ફરેલા રિષભે ઈંગ્લેન્ડ સામે પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. આ સિરીઝમાં તે વિકેટની પાછળ પણ શાનદાર કામ કરી રહ્યો છે. તેની પાસે ટીમને વધુ એકવાર સારા પ્રદર્શનની આશા હશે.

સિરાજના સ્થાને બુમરાહની વાપસી

ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં આરામ કરનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી નક્કી છે. મોહમ્મદ સિરાજના સ્થાને તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે.

ત્રીજા ફાસ્ટ બોલર તરીકે ઉમેશ થઈ શકે છે સામેલ

ભારતીય ટીમ પિંક બોલ ટેસ્ટમાં ત્રણ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી શકે છે. તેવામાં ઉમેશ યાદવની ટીમમાં વાપસી થઈ શકે છે. કુલદીપ યાદવના સ્થાને ઉમેશ યાદવ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે. તો ભારત અક્ષર પટેલ અને આર. અશ્વિનની સ્પિન જોડીની સાથે મેદાનમાં ઉતરશે.

ત્રીજી ટેસ્ટની સંભવિત પ્લેઇંગ ઇલેવન

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, અક્ષર પટેલ.

(5:48 pm IST)