ભારતની ફૂટબોલ, ટ્રાયથ્લોન અને માર્શલ આર્ટ ટીમો એશિયાડમાં ન મોકલતા વિવાદ
નવી દિલ્હી: આવતા મહિને ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સ અગાઉ ભારતીય રમત જગતમાં કઈ ટીમોને એશિયાડમાં સ્પર્ધામાં ઉતારવી અને કઈ ટીમોને ન ઉતારવી તે અંગે ઘમાસાણ ચાલી રહ્યું છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ) નક્કી કરે તે જ ટીમો એશિયાડમાં ભાગ લઈ શકે તેમ છે. ભારતીય ઓલિમ્પિક સંઘે નક્કી કરેલા માપદંડોને કારણે ભારતની ફૂટબોલ, ટ્રાયથ્લોન અને માર્શલ આર્ટ 'પેન્કાક સિલાટ'ની ટીમોને જકાર્તા એશિયાડમાં ન મોકલવાનો નિર્ણય લેવાતા વિવાદ સર્જાયો છે. એશિયાડ માટે ટીમોની એન્ટ્રી મોકલવાની ડેડલાઈન ૩૦મી જુનની છે, ત્યારે ખેલ મંત્રાલયે ભારતીયો ઓલિમ્પિક સંઘને દરખાસ્ત કરી છે કે, તેઓ તેમના સિલેક્શનના માપદંડોને હળવા કરે જેના કારણે વધુ ભારતીય ખેલાડીઓ-ટીમો એશિયાડમાં ભાગ લઈ શકે. હવે આઇઓએ આ મામલે નિર્ણય લેવા આવતીકાલે તેમની કોર કમિટિની અને લીગલ કમિટિની મિટિંગ બોલાવી છે અને તેઓ આ અંગે આખરી નિર્ણય લેશે.