ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખૂબ જ અઘરો રહ્યો : શાસ્ત્રી
અમે કોવિડ, કવોરન્ટાઈન અને ખેલાડીઓની ઈજા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમતા રહ્યા
બ્રિસ્બેન : ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી ભારતીય ટીમની ઐતિહાસિક જીત બાદ ભાવુક બની ગયા હતા.
પોતાની લાગણી વ્યકત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે 'એક અઘરી ટૂરમાંની આ ટૂર હતી. અમે કોવિડ, કવૉરન્ટીન અને અનેક ખેલાડીઓની ઈજા જેવી સમસ્યાઓ સામે ઝઝૂમતા હોવા છતાં રમી રહ્યા હતા. આવી એકસામટી સમસ્યાઓનો અમે ક્યારેય સામનો નથી કર્યો. તમારે વિરાટ કોહલીને શ્રેય આપવું જોઈએ. તે અહીં નથી, ઘરે પાછો જતો રહ્યો છે છતાં તેની પર્સનાલિટી અને તેનું વ્યકિતત્વ હંમેશાં ટીમ સાથે રહે છે. જે પ્રમાણે અજિંક્ય રહાણેએ કપ્તાનપદ સાચવ્યું અને શોભાવ્યું એ ખરેખર અવિશ્વસનીય છે.
છેલ્લી ટેસ્ટ મૅચ સુધી અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. ભારતે ગયા વખતે ઑસ્ટ્રેલિયાને ઑસ્ટ્રેલિયામાં પરાજય આપ્યો હતો અને એ મૅચમાંનો કોઈ પણ બોલર આ છેલ્લી ટેસ્ટ મૅચમાં નહોતો રમ્યો. પોતાનો આત્મવિશ્વાસ જાળવી રાખવો એ પણ મહત્ત્વનું છે.'