અંગુઠાની ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થયેલ ધવને કર્યો ભાવુક મેસેજ- વીડિયો મુકીને વર્લ્ડ કપને કહ્યું અલવિદા
ટીમના સાથીઓ,ક્રિકેટપ્રેમીઓના સહયોગ માટે માન્યો આભાર
નવી દિલ્હી ;ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અંગુઠાની ઇજાના કારણે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગયો છે.તેણે ક્રિકેટના સૌથી મોટા ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું છે. ત્યારે ધવને સોશિયલ મીડિયા દ્વારા ભાવુક નિવેદન આપ્યું છે તેણે મુશ્કેલ સ્થિતિમાં સાથ આપવા માટે ટીમના સાથીઓ અને પ્રશંસકોનો આભાર માન્યો છે. સાથે કહ્યું છે કે તે ઠીક થઈ શકશે નહીં પણ રમત રોકાવી જોઈએ નહીં. ધવનના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરાયો છે.
શિખર ધવને વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું કે હું એ કહેતા ભાવુક છું કે હવે હું ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભાગ લઈ શકીશ નહીં. દૂર્ભાગ્યથી અંગુઠો સમય રહેતા ઠીક થઈ શકશે નહીં પણ રમત રોકાવવી જોઈએ નહીં. મારી ટીમના સાથીઓ, ક્રિકેટને પ્રેમ કરનારા અને આખા દેશમાંથી જે પ્રેમ અને સહયોગ મળ્યો તે માટે હું બધાનો આભાર માનું છું. જય હિંદ.
તેણે વધુમાં કહ્યું હતું કે ટીમ હાલ સારું પ્રદર્શન કરી રહી છે અને આગળ પણ આવું જ પ્રદર્શન કરશે તેવી આશા છે. આશા છે કે વર્લ્ડ કપ પણ જીતીશું. અમારા માટે પ્રાર્થના કરતા રહો. તમારી દુવાઓ અમારા માટે ઘણી જરુરી અને ખાસ છે.
દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમે ધવન વિશે જણાવ્યું હતું કે શિખર ધવનના ડાબા હાથના અંગુઠાના નીચેના ભાગમાં ફ્રેક્ચર છે. જુલાઈના મધ્ય સુધી તેના હાથ ઉપર પ્લાસ્ટર રહેશે. જેના કારણે તે આઈસીસી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. અમે રિપ્લેસમેન્ટના રુપમાં રિષભ પંતનું નામ મોકલ્યું છે.