રિકી પોન્ટિંગે મને હંમેશા મદદ કરી હતીઃ સાથી ખેલાડીઓ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવા સતત મહેનત કરતાઃ ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા
નવી દિલ્હીઃ નિર્ધારિત ઓવરોમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પોતાના કરિયર પર રિકી પોન્ટિંગની અસર વિશે વાત કરી હતી. પોન્ટિંગ થોડા સમય માટે મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહ્યો હતો અને રોહિત તે સંદર્ભમાં વાત કરી રહ્યો હતો. રોહિતે રવિચંદ્રન અશ્વિન સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફટકારેલી તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે બેવડી સદી વિશે પણ વાત કરી હતી.
રોહિતના કરિયર પર પોન્ટિંગની અસરની કહાની ત્યારે શરૂ થઈ જ્યારે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજને મુંબઈની ટીમે પ્રથમ સિઝન બાદ બીજીવાર ખરીદ્યો હતો.
પોન્ટિંગે હંમેશા મારી મદદ કરીઃ રોહિત
રોહિતે પોન્ટિંગની મેન-મેનેજમેન્ટની સ્કિલથી ખુબ પ્રભાવિત જોવા મળ્યો હતો. તેણે જણાવ્યુ કે, પોન્ટિંગ પોતાના સાથી ખેલાડીઓ પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવવામાં મહારથ રાખતા હતા. રોહિતે આગળ જણાવ્યું કે, પોન્ટિંગની આગેવાનીમાં ટીમને ચાર-ચાર ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી હતી. તેમાં પોન્ટિંગ અને રોહિતની સાથે બે યુવા ડોમેસ્ટિક ક્રિકેટર હતા.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં તે સમયે ચર્ચાઓ હતી કે પોન્ટિંગ બાદ કોણ ટીમની આગેવાની કરશે. તેમાં દિનેશ કાર્તિકનું નામ પણ સામે આવી રહ્યુ હતુ પરંતુ પોન્ટિંગે આખરે રોહિતને જણાવી દીધું હતું કે, તે આગામી કેપ્ટન હશે.
રિકી પોન્ટિંગ બાદ રોહિતને મુંબઈ ઈન્ડિયન્સની કમાન મળી હતી. ત્યારબાદ ટીમે પાછુ વળીને જોયુ નથી. રોહિતે આઈપીએલમાં પાંચ ટાઇટલ જીત્યા છે. એકવાર ડેક્કન ચાર્જર્સની સાથે 2009માં અને ત્યારબાદ ચાર વખત મુંબઈના કેપ્ટનના રૂપમાં.