આ તો ગાંગુલી - ચેપલના જમાનાથી ચાલતુ આવે છે
સિનીયર ખેલાડીઓ સાથેના મતભેદને કારણે કોચના રાજીનામા મામલે વહીવટદારોની સ્પષ્ટ વાત
ભારતીય ક્રિકેટ બોર્ડના વહીવટદારોની સમિતિના વડા વિનોદ રાયે આ વાતથી ઈન્કાર કરી દીધો હતો કે ભારતીય ક્રિકેટમાં સીનીયર પ્લેયરો કોચના ભવિષ્યને પ્રભાવિત કરી રહ્યા છે. તેણે કહ્યું કે આમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. ભારતની મહિલા ટીમના કોચ તુષાર અરોઠેએ કેટલાક સીનીયર પ્લેયરોના વિરોધને કારણે કોચના પદેથી રાજીનામુ આપી દીધુ હતું. કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત સીનીયર પ્લેયરોને તેની કોચીંગ પદ્ધતિ નહોતી ગમી. વહીવટદારોના કાર્યકાળ દરમિયાન આવુ બીજી વાર બન્યુ છે. ગયા વર્ષે પુરૂષ ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલેએ વિરાટ કોહલી સાથેના મતભેદ બાદ રાજીનામુ આપ્યુ હતું. કુંબલે અને અરાઠેએ સારૂ કામ કર્યુ, પણ અમુક પ્રભાવશાળી ખેલાડીઓ તેમને કોચ તરીકે નહોતા ઈચ્છતા. અરોઠેના કોચીંગમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલા વન-ડે વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી.
આ વર્ષે ૯ નવેમ્બરથી મહિલા ટી-૨૦ વર્લ્ડકપ રમવાનો છે જેને હવે ફકત ત્રણ મહિના બાકી છે. વિનોદ રાયે દિલ્હીમાં વહીવટદારોની મીટીંગ બાદ કહ્યુ કે આવુ તો સૌરવ ગાંગુલી અને ગ્રેગ ચેપલના વખતથી ચાલતુ આવે છે, આમા કંઈ નવુ નથી. ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રમેશ પોવારને વચગાળાનો કોચ તરીકે નીમવામાં આવ્યો છે.