ટીમ ઇન્ડિયાનુ લક્ષ્ય ૨૦૨૨નો ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩નો વન-ડે વર્લ્ડકપઃ રાહુલ
દ્રવિડ ડ્રેસીંગરૂમનું વાતાવરણ હંમેશા કુલ રાખે છે, હંમેશ ટીમ વિશે જ વિચારે છે, મોટાભાગના યુવા ખેલાડીઓ તેમની સાથે કામ કરી ચુકયા છે
નવી દિલ્હીઃ કેએલ રાહુલે જણાવ્યું કે રાહુલ દ્રવિડની એન્ટ્રીથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થશે. આ ખેલાડીએ રાહુલ દ્રવિડની ખાસિયત વિશે પણ જણાવ્યું કે 'હું ખૂબ જ નસીબદાર છું કે હું રાહુલ દ્રવિડને લાંબા સમયથી ઓળખું છું. જ્યારે હું નાનો હતો, ત્યારે હું તેમની જેમ રમતને સમજવાની કોશિશ કરતો હતો. તેમણે કર્ણાટકમાં અમને ઘણી મદદ કરી છે. તે દેશભરના ખેલાડીઓને મદદ કરે છે. તે ટીમ ઈન્ડિયામાં જોડાયા બાદ હવે અમને તેની પાસેથી ઘણું શીખવાનો મોકો મળશે.
રાહુલે કહ્યું, 'આપણે બધા જાણીએ છીએ કે રાહુલ દ્રવિડ કેટલું મોટું નામ છે. અમારી પાસે તેમની પાસેથી ઘણું શીખવાનો મોકો છે. કોચિંગની વાત કરીએ તો, મેં તેના કોચિંગ હેઠળ ઈન્ડિયાએ માટે કેટલીક મેચ રમી છે. દ્રવિડની ખાસિયત એ છે કે તે રમતને સારી રીતે સમજે છે અને તે હંમેશા ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કૂલ રાખે છે. તે હંમેશા ટીમ વિશે જ વિચારે છે.
રાહુલ દ્રવિડની આ ગુણવત્તા તેમને અન્ય કરતા અલગ બનાવે છે. ન્યુઝીલેન્ડ સામેની ટી૨૦ સીરીઝ માટે પસંદ કરાયેલા મોટાભાગના ખેલાડીઓ રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ આગળ વધ્યા છે.
હવે ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં રમાનાર ૨૦૨૨ ટી-૨૦ વર્લ્ડ કપ હશે. આ પછી, ૨૦૨૩ ODI વર્લ્ડ કપ ભારતમાં રમાનાર છે. આવી સ્થિતિમાં, નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ઈચ્છે છે કે ટીમ ઈન્ડિયા બંને ટૂર્નામેન્ટ જીતે અને ICC ટૂર્નામેન્ટની ટ્રોફીની ખોટને ખતમ કરે.