ખેલ-જગત
News of Saturday, 17th November 2018

પ્રો કબડ્ડી લીગમાં ગુજરાત જાયન્ટની વિજયકૂચ યથાવતઃ બંગાળને ૩૫-૨૩થી હરાવ્યું

અમદાવાદ: ગુજરાતે શુક્રવારે બંગાળ વોરિયર્સ સામેની મેચમાં 35-23 પોઈન્ટથી વિજય સાથે ઘરઆંગણે તેના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતે સ્પર્ધામાં તેની કોઈ પણ મેચ ગુમાવી નથી અને એક મેચ ટાઈ રહ્યા બાદ તેણે સતત છ મેચમાં વિજય મેળવ્યો છે.

પ્રેક્ષકોથી ખિચોખિચ ભરેલા એરેના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે એમ તો પ્રારંભે બન્ને ટીમોએ સારી શરૂઆત કરતા શરૂઆતની બે રેડ વ્યર્થ રહ્યા બાદ ગુજરાતે આક્રમક વલણ અપનાવ્યું. મેચમાં 8-8થી બરોબર રહ્યા બાદ બંગાળે પહેલી ડૂ એન્ડ ડાય રેડ કરવી પડી અને તેના પર મનિન્દર સિંહ પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો.

જોકે, એ પછી બંગાળનો દેખાવ કથળ્યો અને પ્રવાસી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. જેના લીધે ગુજરાતની સરસાઈ 14-11 થઈ ગઈ. યજમાન ટીમે તેના જોરદાર દેખાવને જારી રાખતા હાફ ટાઈમ સુધી 19-14ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી.

બીજા હાફમાં પણ ગુજરાતે તેની આક્રમક રમત જારી રાખી હતી. તેના ખેલાડીઓએ પ્રતિસ્પર્ધી ટીમને રમતમાં પાછા ફરવાની કોઈ તક આપી નહતી. એક તબક્કે 21-15થી પાછળ રહ્યા બાદ ગુજરાતના ખેલાડીઓએ કેટલિક ભૂલ કરતા બંગાળે સરસાઈ ઓછી કરી હતી અને સ્કોર 21-18 પર પહોંચાડ્યો હતો. એ સમયે ફરી ગુજરાતે એક પોઈન્ટ સાથે તેની સ્થિતિ સુધારી હતી. બીજા હાફમાં પણ ગુજરાતે બંગાળને ઓલ આઉટ કરવા સાથે સ્કોરને 27-18એ પહોંચાડ્યો હતો.

એ પછી યજમાન ટીમના ખેલાડીઓ એક પછી એક પોઈન્ટ મેળવતા રહ્યા હતા. જ્યારે પ્રવાસી ટીમ રમતના તમામ પાસામાં યજમાન ટીમ સામે નબળી પુરવાર થઈ હતી. ગુજરાતે તેની શાનદાર રમત અંત સુધી જાળવી રાખતા અંતે ઘરઆંગણે 35-23થી આસાન વિજય મેળવ્યો હતો.

વિજય બાદ ગુજરાતની ટીમના કોચ મનપ્રિતસિંહે ટીમના સતત સાતમા વિજય અંગે ખુશી વ્યક્ત કરતા ટીમ આગામી સમયમાં પણ આ પ્રકારની રમત સાથે જ આગળ વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આજની મેચમાં ટીમના મહત્વપૂર્ણ ખેલાડી સચિન તનવરને આરામ આપવા સંદર્ભે મનપ્રિતે જણાવ્યું હતું કે, દરેક ટીમની નજર સચિન પર છે ત્યારે ટીમની રણનીતિના ભાગરૂપે તેને આ મેચમાં આરામ અપાયો છે. સચિનને ઈજા અંગેની વાત તેણે સ્પષ્ટપણે નકારી કાઢી હતી. ટીમના સુકાની સુનિલ કુમારે બંગાળ સામેના વિજયમાં સમગ્ર ટીમનું યોગદાન રહ્યું હોવાનું જણાવ્યું હતું.

(6:26 pm IST)