એશિયા કપ ટુર્નામેન્ટમાં કોહલીની ગેરહાજરીથી બ્રોડકાસ્ટર નારાજ
જોકે ટીમમાં કોની પસંદગી કરવી એ ભારતીય ક્રિકેટ બોર્ડનો અધિકાર છે એવો એશિયન ક્રિકેટ કાઉન્સીલને મળ્યો જવાબ
એશિયા કપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી સામે બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા નારાજગી વ્યકત કરાતાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) અને ભારતીય ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે આ મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ એસીસીને જણાવ્યું હતું કે નેશનલ ટીમમાં કોની પસંદગી કરવી એ હક તેમને કે બ્રોડકાસ્ટરને નથી. ઇગ્લેન્ડના ૮૪ દિવસના પ્રવાસ બાદ વિરાટ કોહલીને એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો છે.
એસીસીના ગેમ ડેવલપમેન્ટ મેનેજરે કહ્યું હતું કે કોહલીની ગેરહાજરીને કારણે તેમના પર કેવી વિપરીત અસર થઈ છે એની રજૂઆત કરતો પત્ર બ્રોડકાસ્ટરે મોકલ્યો હતો જેમાં જણાવ્યું હતું કે એશિયા કપ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાં જ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનની ગેરહાજરીને કારણે આવક પર વિપરીત અસર પડી છે. તેમ જ એસીસીને ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે આ મામલે સંપર્ક કરવા કહ્યું છે, કારણ કે મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટ મુજબ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ટીમ રમવી જોઈએ.