ભારતીય હોકી ટીમે પરાજય માટે અમ્પાયરોને ગણાવ્યા જવાબદાર
ભારતીય હોકી ટીમે નેધરલેન્ડ્સ સામે વર્લ્ડ કપના કવોર્ટર ફાઇનલમાં મળેલી હાર બાદ અમ્પાયરોના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા
યજમાન ટીમે મેચના છેલ્લા કવોર્ટરમાં ડિફેન્ડર અમિત રોહિદાસને યલો કાર્ડ બતાવવાના અમ્પાયરના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. યલો કાર્ડ બતાવવાને કારણે રોહિદાસને પાંચ મિનિટ માટે મેદાનની બહાર જવું પડ્યું હતું ત્યારે ભારતીય ટીમ ૧૦ ખેલાડીઓ સાથે રમી હતી. ભારતે ગોલકીપર પી. આર. શ્રીજેશને બહાર કરીને એક વધારાના ખેલાડીને અંદર લીધો હતો.
ભારતીય ટીમના કોચ હરેન્દ્ર સિંહે કહ્યું હતું કે સૌથી પહેલાં હું ભારતના લોકોની માફી માગું છું, કારણ કે અમે તેમને અપેક્ષા મુજબનું પરિણામ ન આપી શકયા. જોકે અમ્પાયરોની ભૂલોને કારણે આ વર્ષે અમને બે મહત્વની ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અમારે હાર સ્વીકારવી રહી, પરંતુ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને પણ કેટલાક ડિપાર્ટમેન્ટમાં સુધારો કરવો પડશે. તમે અહંકારી થઈને અમ્પાયરિંગ ન કરી શકો. ખેલાડી અને કોચ એક ટુર્નામેન્ટ માટે લાંબા સમયથી મહેનત કરતા હોય છે, પરંતુ એક ખોટો નિર્ણય તેમની ૪-૬ વર્ષની મહેનત પર પાણી ફેરવી નાખે છે.(૩૭.૫)