હું હજુ આઈપીએલની બે સીઝન રમી શકું છું: યુવરાજ સિંહ
નવી દિલ્હી: ભારતને ૨૦૧૧માં વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં પાયાની ભૂમિકા ભજવનારા યુવરાજ સિંઘે કહ્યું છે કે, હું હજુ બે-ત્રણ સિઝન સુધી આઇપીએલમા રમી શકું તેમ છું. યુવરાજ ૩૬ વર્ષની ઉંમરે પહોંચી ચૂક્યો છે અને ભારતીય ટીમના પસંદગીકારો પણ આગામી વર્લ્ડ કપની તૈયારીમાં વ્યસ્ત બન્યા હોવાથી હવે તેના પુનરાગમનની શક્યતા દેખાતી નથી. જોકે યુવરાજને હજુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાની આશા છે. ગત મહિને યોજાયેલી આઇપીએલની હરાજીમાં કિંગ્સ ઈલેવન પંજાબે યુવરાજને રૃપિયા ૩.૧૨ કરોડમાં કરારબદ્ધ કર્યો હતો. નિવૃત્તિ અંગેના પ્રશ્નના જવાબમાં યુવરાજે સ્પષ્ટ કરી દીધું કે તે હાલના તબક્કે તો ક્રિકેટને અલવિદા કહેવા અંગે વિચારતો નથી. યુવરાજે એક મુલાકાતમાં કહ્યું કે, હું ત્યારે જ નિવૃત્તિ લઈશ, જ્યારે મને લાગશે કે મેં મેદાન પર મારો શ્રેષ્ઠતમ દેખાવ કરી લીધો છે અને હવે મારે ક્રિકેટમાં વધુ કશુ કરવાનું રહેતું નથી. હું હજુ એટલા માટે રમું છું કારણ કે મારે આઇપીએલમાં રમવાનું છે, પણ મને ક્રિકેટ માં હજુ આનંદ આવે છે. ચોક્કસ ક્રિકેટ રમવા પાછળ એ બાબત રહેલી છે કે, મને ભારતીય ટીમમાં સ્થાન મળશે. મને લાગે છે કે, હું હજુ બે-ત્રણ સિઝન આઇપીએલ રમી શકું તેમ છું. યુવરાજે કહ્યું કે, હું હંમેશથી ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતો હતો. જ્યારે હું મોટો થયો ત્યારે હું પુષ્કળ પ્રમાણમાં બે-ત્રણ દિવસની મેચો રમ્યો હતો. હું હંમેશા એટલા માટે ટેસ્ટ ક્રિકેટ રમવા ઈચ્છતો હતો કારણ કે જ્યારે જ્યારે મેં ટેસ્ટમાં સારો દેખાવ કર્યો છે, ત્યારે વન ડેમાં રમવું અને ત્યાર બાદ ટી-૨૦માં રમવું મારા માટે આસાન બની ગયું છે. મારે ટીમમાં સ્થાન મેળવવા માટે સૌરવ ગાંગુલી તેમજ લક્ષ્મણ જેવા દિગ્ગજોની સાથે સ્પર્ધા કરવી પડતી. વર્ષ ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયા સામેની ચેન્નાઈ ટેસ્ટમાં એક ઈનિંગમાં મને ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો, જ્યારે બીજી ઈનિંગમા હું સાતમા ક્રમનો બેટ્સમેન હતો અને આખરે મેચ વરસાદે ધોઈ નાંખી હતી. આ પછી મને મીડલ ઓર્ડરમાં તક મળી હતી. જ્યારે સૌરવ નિવૃત્ત થયો ત્યારે મને તેનું સ્થાન મળ્યું, પણ તે સમયે કેન્સર થવાના કારણે મારે એક વર્ષ ક્રિકેટથી દુર રહેવું પડયું હતુ.