ખેલ-જગત
News of Thursday, 15th February 2018

આફ્રિકા-ભારત વચ્ચે અંતિમ વનડેને લઇને ભારે ઉત્સુકતા

શુક્રવારે સેન્ચુરિયન ખાતેની મેચ જોવા ભારે ઉત્સાહ : છ વનડે મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધા બાદથી વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જતવા માટે ખુબ ઉત્સુક

સેન્ચુરિયન,તા. ૧૫ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વનડે મેચોની શ્રેણીની છટ્ઠી અને અંતિમ વનડે મેચ આવતીકાલે સેન્ચુરિયન ખાતે રમાનાર છે. ભારતે વનડે શ્રેણીને પહેલાથી જ ૪-૧થી જીતી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વધારે મોટા અંતરથી શ્રેણી જીતવા માટે ઇચ્છુક છે. તમામ ખેલાડી શાનદાર ફોર્મમાં છે. જેમાં રોહિત શર્માનો પણ હવે સમાવેશ થાય છે. છેલ્લી મેચમાં રોહિતે ફોર્મ મેળવી લઇને તમામને રોમાંચિત કરી દીધા છે. ચહેલ અને કુલદીપ પણ બોલિંગમાં સારો દેખાવ કરી રહ્યા છે. પોર્ટ એલિઝાબેથ મેદાન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની પાંચમી વન ડે મેચમાં ભારતે જોરદાર દેખાવ કરીને યજમાન આફ્રિકા પર ૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ૨૫ વર્ષમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે નવો ઇતિહાસ સર્જયો હતો. મંગળવારનો દિવસ ભારતીય ટીમ માટે મંગળમય રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ આફ્રિકાને તેની જમીન પર જ હાર આપીને શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મંગળવારના દિવસે  પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૭૪ રન કર્યા હતા. ભારત તરફથી શાનદાર ફોર્મ હાંસલ કરીને રોહિત શર્માએ ફરી સદી કરી હતી. તે ૧૨૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૫ રન કરીને આઉટ થયો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ ૪૨.૨ ઓવરમાં ૨૦૧ રન કરીને આઉટ થઇ ગઇ હતી.  તે  પહેલા જોહાનીસબર્ગ ખાતે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં ખરાબ વાતાવરણ અને વરસાદના લીધે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર ૧૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવીને વનડે શ્રેણીમાં લીડ કાપી હતી. આ મેચમાં ભારતે સાત વિકેટે ૨૮૯ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. શિખર ધવને ૧૦૦મી વનડે મેચ રમતા ૧૦૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ પદ્ધતિ આધારે આફ્રિકાને ૨૮ ઓવરમાં ૨૦૨ રન કરવાના હતા જે મુશ્કેલ ટાર્ગેટ હોવા છતાં આફ્રિકાએ બનાવી લીધા હતા. કેપટાઉન ખાતે ૭મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી.કેપટાઉન મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.  ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમ જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડે મેચમાં પણ ભારતે જીત મેળવી હતી.આફ્રિકાની ટીમમાં અનેક ખેલાડી ઇજાગ્રસ્ત હોવાના કારણે રમી રહ્યા નથી. એબી ડિવિલિયર્સ ચોથી મેચમાં ટીમમાં પરત ફર્યો હતો. જ્યારે ડુ પ્લેસીસ અને ડીકોક હજુ ઇજાગ્રસ્ત છે. બન્ને રમી રહ્યા નથી. હાસીમ આમલા સિવાય બાકીના તમામ બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા નથી. ભારતીય ચાહકો ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. વધુ એક શાનદાર વનડ મેચ ચાહકોને જોવા મળે તેવી શક્યતા છે.   આ મેચને લઇને પણ   ભારે રોમાંચકતા પ્રવર્તી રહી છે. મેચનુ આવતકાલે સાંજે ચાર વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ટીમ ઇન્ડિયા અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે.  બંને ટીમો નીચે મુજબ છે.

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, બુમરાહ, ચહેલ, શિખર ધવન, ધોની, શ્રેયસ અય્યર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સામી, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અજન્કિયા રહાણે, શાર્દુલ ઠાકુર

આફ્રિકન ટીમ :  હાસિમ અમલા, ડીકોક, ડ્યુમિની, ઇમરાન તાહિર, મારક્રમ, ડેવિડ મિલર, મોર્ને મોર્કેલ, ક્રિસ મેરિસ, લુંગી ગીડી, ફેલુકવાયો, રબાડા, સામ્સી, ઝોન્ડો, ડિવિલિયર્સ, ક્લાસીન...

મેચના રોમાંચની સાથે સાથે

ભારતીય ટીમ પર કરોડો ચાહકોની નજર કેન્દ્રિત

        સેન્ચુરિયન,તા.૧૫ : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વનડે મેચોની શ્રેણીની છટ્ઠી અને અંતિમ વનડે મેચ આવતીકાલે સેન્ચુરિયન ખાતે રમાનાર છે. ભારતે વનડે શ્રેણીને પહેલાથી જ ૪-૧થી જીતી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વધારે મોટા અંતરથી શ્રેણી જીતવા માટે ઇચ્છુક છે.મેચની સાથે સાથે નીચે મુજબ છે.

*    સેન્ચુરિયન ખાતે રમાનારી અંતિમ વનડે મેચને લઇને ભારે રોમાંચ

*    ભારતે ૨૫ વર્ષના લાંબા ગાળા બાદ આફ્રિકામાં વનડે શ્રેણી જીતી લીધા બાદ તમામ ચાહકોનુ ધ્યાન ટીમ તરફ ખેંચાઇ ગયુ છે

*    સેન્ચુરિયન ખાતે ચાહકોને વધારે રોમાંચક મેચ જોવા મળે તેવી સંભાવ

*    સેન્ચુરિયન ખાતે રમાનારી મેચમાં ભારતીય ટીમ કોઇ ફેરફાર અંતિમ ઇલેવનમાં કરે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે

*    વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન જોરદાર ફોર્મમાં રમી રહ્યા છે

*    ડીવિલિયર્સની વાપસી થઇ હોવા છતાં આફ્રિકા સામે મુશ્કેલી અકબંધ

*    હાસમી અમલા સિવાયના બાકીના તમામ બેટ્સમેનો ફ્લોપ સાબિત થઇ રહ્યા છે

*    રોહિત શર્મા શરૂઆતની ચાર વનડે મેચોમાં ફ્લોપ રહ્યા બાદ હવે સદી કરીને ફોર્મ મેળવી ચુક્યો

*    પાંચમી મેચમાં જીત મેળવી લીધા બાદ આફ્રિકા ટીમ પર ઘરઆંગણે દબાણ વધ્યુ છે

*    વનડે શ્રેણી બાદ ટીમ ઇન્ડિયા હવે ટ્વેન્ટી શ્રેણી રમવા માટે મેદાનમાં ઉતરશે

*    ભારતીય ટીમ તમામ ક્ષેત્રોમાં આફ્રિકા કરતા વધારે શાનદાર દેખાવ કરી શકી છે

*    વિરાટ કોહલી અને શિખર ધવન પાસેથી શાનદાર દેખાવ કરવાની આશા

(12:33 pm IST)