બેટીંગમાં સુધારો કરવાની જરૂરઃ વારંવાર ધબડકો ન ચાલે
આફ્રિકાની ધરતી ઉપર ટેસ્ટ સિરીઝ જીતવાનું ટીમ ઈન્ડિયાનું સપનું તૂટી ગયું : વિરાટે કહયું હાર માટે બેટરો જવાબદાર, ભવિષ્યમાં શું થશે એ ખબર નથી, મારો કોઈ હાથ નથી
નવીદિલ્હીઃ વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું પણ તૂટી ગયું છે. ભારતે ટેસ્ટ શ્રેણીની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ શ્રેણીમાં બેટરોના નિરાશાજનક પ્રદર્શનને કારણે ભારતને શ્રેણી ગુમાવવી પડી હતી.
આ મહત્વની શ્રેણીમાં ટીમને તેના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંકય રહાણે પાસેથી સારા પ્રદર્શનની આશા હતી. પરંતુ ફરી એકવાર બંને બેટ્સમેનોએ ટીમને નિરાશ કરી અને આ શ્રેણીમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા.
ભારતીય ટીમે પોતાના સિનિયર ખેલાડીઓને ઘણી તકો આપી અને આ માટે શ્રેયસ અય્યર અને હનુમા વિહારી જેવા બેટ્સમેનોને પણ ટીમની બહાર રાખવામાં આવ્યા. પરંતુ આ આખી સિરીઝ બંને બેટ્સમેનોના બેટમાંથી એક પણ મોટી ઇનિંગ્સ નીકળી ન હતી. આ સિરીઝમાં રહાણેએ ૬ ઇનિંગ્સમાં માત્ર ૧૩૬ રન બનાવ્યા હતા, જ્યારે પૂજારાએ આ જ ઇનિંગમાં ૧૨૪ રન બનાવ્યા હતા.
મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ હાર માટે બેટરોને જવાબદાર ઠેરવ્યા હતા, પરંતુ આવનારા સમયમાં બદલાવના સવાલ પર તેણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહયું કે બેટિંગ ચોક્કસપણે અમને નિરાશ કરે છે, ખાસ કરીને છેલ્લી બે રમતોમાં, જ્યારે અમને સૌથી વધુ જરૂર હતી. હું અહીં બેસીને કહી શકતો નથી કે ભવિષ્યમાં શું થશે. તે પસંદગીકારોનો નિર્ણય છે. આમાં મારો કોઈ હાથ નથી.
જ્યાં સુધી રહાણે અને પુજારાનો સંબંધ છે, અમે તે અગાઉ કહ્યું છે અને કહીશું કે અમે ચેતેશ્વર અને અજિંકયને સતત સમર્થન આપ્યું છે કારણ કે તેઓ જે પ્રકારના બેટ્સમેન છે અને તેઓ જે પ્રકારની ઇનિંગ્સ રમ્યા છે. બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં તેની ઈનિંગ અમને સારા સ્કોર સુધી લઈ ગઈ. એક ટીમ તરીકે અમે આવી ઇનિંગ્સને મહત્વ આપીએ છીએ. પસંદગીકારો શું કરે છે અને તેમના મગજમાં શું છે તે વિશે કંઈ કહી શકતો નથી.
વિરાટે કહયું ટીમ ઈન્ડિયાની બેટીંગમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. વારંવાર ધબડકો થાય છે અને એ વાસ્તવીકતાથી કોઈ છટકી ન શકે. આ સ્થિતિ જરાપણ સારી ન કહેવાય.