કોહલીની ખાસિયત છે કે તે હારથી ડરતો નથી : ગંભીર
પુણે : ઘરઆંગણે સતત ૧૧મી ટેસ્ટ-સિરીઝ જીતીને વર્લ્ડ રેકોર્ડ સર્જનારી ભારતીય ટીમ પર શુભેચ્છાનો વરસાદ ચારે બાજુથી વરસી રહ્યો છે. ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી સંસદસભ્ય બનેલા ગૌતમ ગંભીરે પણ કોહલી અને ટીમનાં વખાણ કર્યાં છે. તેની સાથે ગંભીરે કોહલીના કયારેય હાર ન માનવાના સ્પિરિટને તેની ખાસિયત ગણાવી છે.
ઉકત મામલે વાત કરતાં ગંભીરે કહ્યું હતું કે તમે ડરને મનમાં રાખો તો કયારેય જીતી ન શકો. મારા ખ્યાલથી કોહલીની એ જ ખાસિયત છે કે તે હારથી ડરતો નથી. આપણે સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, એમ. એસ. ધોનીની વાત કરીએ છીએ, પણ કોહલી એક એવો કેપ્ટન છે જેણે રિસ્ક લેવાની હિંમત બતાવી અને એના પરિણામે ભારત વિદેશની ધરતી પર જીત મેળવતું થયું. આ પહેલાં કોઈ પણ કેપ્ટન રિસ્ક લેવા તૈયાર નહોતા થતા. તેઓ હંમેશાં સેફ ગેમ રમવા ધારતા હતા, પણ વિરાટે રિસ્ક લીધું અને આજે આપણી પાસે સારા અને અનુભવી પ્લેયરોનો ખજાનો છે.