૨૦૧૯ના વર્લ્ડકપ પહેલા વિરાટ કોહલીને મજબુત ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી માટે સમય મળે તે માટે કેપ્ટનશીપ છોડી દીધીઃ સુકાનીપદ છોડવાનું કારણ જણાવતો અેમ.અેસ. ધોની
મુંબઇઃ ઈન્ડિયન ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં ઓપોઝિટ ટીમને પરાસ્ત કરવા માટે માટે પોતાના મગજનો ‘હથિયાર’ તરીકે ભરપૂર ઉપયોગ કરતા. 2017માં ધોનીએ કેપ્ટનસી છોડીને વિરાટને પોતાનો ટીમ ઈંડિયાની કેપ્ટન્સી મળે તે માટેનો માર્ગ મોકળો કર્યો. ધોનીએ કેપ્ટન્સી છોડી તે ભારતીય પ્રશંસકો માટે મોટો આઘાત હતો કારણકે ધોનીએ અચાનક જ નિર્ણય લીધો હતો.
જો કે ધોનીએ આ પ્રકારે અચાનક જ નિર્ણય લીધો તેવી પ્રથમ ઘટના નહોતી. ડિસેમ્બર 2014માં ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં ધોનીએ અચાનક જ કેપ્ટન્સી છોડી દીધી હતી. એટલું જ નહીં ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક રિટાયર થવાની જાહેરાત પણ કરી હતી. હાલમાં જ રાંચીમાં મુંડા એરપોર્ટ પર CISF સાથેના એક મોટિવેશનલ પ્રોગ્રામ દરમિયાન ધોનીએ વનડે અને ટી-20ની કેપ્ટનશીપ છોડવા અંગેના કારણનો ખુલાસો કર્યો છે.
એક રિપોર્ટ પ્રમાણે ધોનીએ કહ્યું કે, “મેં કેપ્ટનશીપ એટલે છોડી કારણકે હું ઈચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને 2019ના વર્લ્ડ કપ પહેલા એક ટીમ તૈયાર કરવા માટે પૂરતો સમય મળે. નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને મજબૂત ટીમની પસંદગી માટે પૂરતો સમય મળે. એટલે જ મને લાગે છે કે મેં યોગ્ય સમયે કેપ્ટનશીપ છોડી દીધી.”
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે સવાલ પૂછાતાં ધોનીએ કહ્યું કે, “પ્રેક્ટિસ મેચ ઓછી રમવાના કારણે ભારતીય બેટ્સમેનને શરમજનક સ્થિતિમાંથી પસાર થવું પડ્યું.”