વિકેટ લેવા જસપ્રીત બુમરાહે વધારે અગ્રેસિવ થવાની જરૂરઃ ઝહીર ખાનની સલાહ
હેમિલ્ટનઃ ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં જસપ્રીત બુમરાહને એકપણ વિકેટ ન મળતાં ક્રિકેટજગતના અનુભવી ખેલાડીઓ તેને માટે સલાહસૂચન આપી રહ્યા છે. ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનનું કહેવું છે કે બુમરાહે વિકેટ લેવા માટે વધારે આક્રમક થવાની જરૂર છે.
આ સંદર્ભે વાત કરતાં ઝહીરે કહ્યું કે 'છેલ્લાં કેટલાંક વર્ષોમાં બુમરાહે જે પ્રમાણે ઈમેજ બનાવી છે એ પ્રમાણે તેને પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બુમરાહ આજે એવી પોઝિશનમાં છે કે તેની બોલિંગ જોઈને વિરોધી ટીમનો પ્લેયર વિચારતો હશે કે ભલે તમને ૩૫ રન મળે, પણ જયાં સુધી તમે તેને વિકેટ નથી આપતા ત્યાં સુધી તમે સેફ છો. બુમરાહે આ વાત સમજવી પડશે અને વધારે આક્રમક ગેમ રમવી પડશે. બેટ્સમેન તેને ડિફેન્ડ કરીને રમે એ વાત પણ તે જાણે છે, પણ બુમરાહે એમ ન કરતાં વિકેટ લેવા તરફ ધ્યાન આપવું જોઈએ'