વર્લ્ડકપ ૨૦૧૯ : સોમવારે ભારતીય ટીમ ઘોષિત કરાશે
સોમવારે બપોરે ત્રણ વાગે પત્રકાર પરિષદ થશે : ટીમમાં એક બે સ્થાનોને લઈને હજુ પણ દુવિધા : ભારત વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ પાંચમી મેના દિવસે રમશે
નવી દિલ્હી, તા. ૧૩ : આગામી વર્લ્ડકપ મિશન માટે ભારતીય ક્રિકેટ ટીમમાં કોનો કોનો સમાવેશ કરાશે તેને લઈને ચાલી રહેલી ચર્ચાઓનો સોમવારે અંત આવશે. સોમવારના દિવસે બપોરે ત્રણ વાગે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવનાર છે. બીસીસીઆઈએ એક અખબારી યાદીમાં કહ્યું છે કે બપોરે ત્રણ વાગે પત્રકાર પરિષદ યોજીને ટીમની જાહેરાત કરવામાં આવનાર છે. બીસીસીઆઈના અખિલ ભારતીય સિનિયર સિલેકશન કમિટીના સભ્યોનું કહેવું છે કે આ પ્રેસ કોન્ફરન્સથી પહેલા પસંદગી માટે મુંબઈમાં બેઠક યોજાશે. જેમાં વર્લ્ડકપ માટે પસંદગી થનાર ખેલાડીઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૩૦મી મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત થશે. આ ટુર્નામેન્ટ ૧૪મી જુલાઈ સુધી ચાલશે. મહત્વપૂર્ણ એ છે કે આ મિટીંગ બાદ પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ભાગ લેશે નહીં. ભારતીય ટીમના દરેક મોટા પ્રવાસથી પહેલા ટીમની પસંદગી બાદ સામાન્ય રીતે ભારતીય કેપ્ટન અને કોચ પત્રકાર પરિષદ યોજે છે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના સ્વરૂપની વાત કરવામાં આવે તો ટીમમાં ખેલાડીઓના નામ પસંદગી કમિટીની સાથે કેપ્ટન અને કોચની નજર પણ સ્પષ્ટ રહે છે. ટીમમાં એક બે સ્થાનોને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ૧૫મી એપ્રિલના દિવસે જ આ ચિત્ર સ્પષ્ટ થશે. આ વખતે વર્લ્ડકપ રાઉન્ડ રોબિન તરીકાથી રમાડવામાં આવશે. એટલે કે દરેક ટીમ બાકી તમામ ટીમોથી મેચ રમશે અને રાઉન્ડ રોબિન બાદ ટોપની ૪ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાંચમી મેના દિવસે દક્ષિણ આફ્રિકાની સામે પોતાની પ્રથમ મેચ રમશે. નવમીએ શ્રીલંકા સામે ભારતીય ટીમ રમશે.