પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઉપર હૂમલાનો ભયઃ શ્રીલંકન બોર્ડ દ્વારા વિચારણા
કોલંબો : શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. આ બંને ટીમો વચ્ચે 27 સપ્ટેમ્બરથી વન ડે અને ટી20 સિરીઝ પ્રસ્તાવિક છે. શ્રીલંકા (Sri Lanka)ની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની છે અને આ સંજોગોમાં સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલાનો ભય છે. હવે શ્રીલંકાએ પણ કહી દીધુંછે કે તે આ પ્રવાસ પર જવા વિશે પુન:વિચાર કરી શકે છે.
શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન જઈને સિરીઝ રમવાની હા પાડી હતી પણ હવે ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી છે. આ ખેલાડીઓમાં ટી20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ જેવા મોટા નામ સામેલ છે. જોકે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે હજુ આ મુલાકાત રદ્દ કરવાનો અથવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો નથી. શ્રીલંકાના બોર્ડે જણાવ્યું કે શરૂઆતની ટીમમાં સામેલ ખેલાડીઓને 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ 6 મેચોની સીમિત ઓવરોની સિરીઝ માટે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપી હતી પણ 10 ખેલાડીઓએ હટવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં જ્યારે શ્રીલંકાની ટીમ પાકિસ્તાન ગઈ હતી ત્યારે તેમના પર આતંકવાદી હુમલો થયો હતો અને તેઓને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા હતા. આ સમયે શ્રીલંકાની ટીમના 6 ખેલાડીઓ ઘાયલ થયા હતા. હાલમાં જે ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસમાંથી હટવાનો નિર્ણય કર્યો છે એમાં લસિથ મલિંગા, એન્જેલો મેથ્યુઝ સિવાય નિરોશાન ડિકવેલા, કુસલ પરેરા, ધનંજય ડિસિલ્વા, તિસારા પરેરા, અકીલા ધનંજય, સુરંગા લકમલ, દિનેશ ચંડીમલ અને દિમુથ કરુણારત્ને સામેલ છે.