ખેલ-જગત
News of Thursday, 12th July 2018

કોહલીએ ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ: સૌરભ ગાંગુલી

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે આવતી કાલે શરૃ થનારી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ ચોથા નંબરે જ બૅટિંગ કરવી જોઈએ, કારણકે એમ કરીને વિરાટ પોતાની ટીમની બૅટિંગ-હરોળને વધુ મજબૂતી પૂરી પાડી શકશે. 

ગયા વર્ષે શ્રીલંકા ખાતેના પ્રવાસથી માંડીને અત્યાર સુધીમાં ભારતીય ટીમે ચોથા નંબર પર છ બૅટ્સમેનોને અજમાવ્યા છે જેમાં લોકેશ રાહુલ, કેદાર જાધવ, મનીષ પાંડે, હાર્દિક પંડયા, દિનેશ કાર્તિક અને અજિંક્ય રહાણેનો સમાવેશ છે. જોકે, ગાંગુલીનું એવું માનવું છે કે 'કોહલીએ ચોથા નંબરે જ રમવું જોઈએ. ઇંગ્લૅન્ડ સામે ૨-૧થી જીતેલી ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ ભારતની બૅટિંગ લાઇન-અપ વ્યસ્થિત બની હતી. રાહુલને ત્રીજા નંબરે મોકલવામાં આવતો હતો અને ખુદ વિરાટ ચોથા નંબરે જતો હતો. એવું હવે વન-ડે ફોર્મેટમાં પણ રહેવું જોઈએ.' ગાંગુલીના મતે ઇંગ્લિશ ટીમનું બોલિંગ જોઈએ એવી આગઝરતી નથી એનો ભારતને ફાયદો થશે. 

(5:13 pm IST)