ખેલ-જગત
News of Monday, 11th February 2019

ઈંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત

સ્મૃતિ મંધાનાને સુકાનીપદ : ટીમમાં રવિ કલ્પનાની વાપસી : વેદા કૃષ્ણામૂર્તિને પણ ટીમમાં સ્થાન અપાયુ

મુંબઈ : ઈંગ્લેન્ડ સામે યોજાનારી ત્રણ મેચોની વન-ડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે.આ ત્રણેય મેચ આઈસીસી મહિલા ચેમ્પિયનશીપ હેઠળ રમાશે. ટીમમાં રવિ કલ્પનાની વાપસી થઇ છે. કલ્પનાએ ત્રણ વર્ષ બાદ ટીમમાં વાપસી કરી છે. આ વિકેટકીપરે અંતિમ વન-ડે ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ રમી હતી. તેમને ડાયલાન હેમલતાના સ્થાને ટીમમાં પસંદ કરાઈ છે . શ્રેણીની ત્રણેય મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ મેચ ૨૨ ફેબ્રુઆરીએ રમાશે બીજી મેચ ૨૫ તથા ત્રીજી મેચ ૨૮ ફેબ્રુઆરીએ રમાશે. ભારતીય સીનિયર પસંદગી સમિતિએ સીરીઝ પહેલા ૧૮ ફેબ્રુઆરીએ યોજાનારા વાર્મ અપ મેચ માટે પણ બોર્ડ અધ્યક્ષ ઈલેવનની જાહેરાત કરી દેવામાં આવી છે.

આ ટીમના કેપ્ટન સ્મૃતિ મંધાનાને બનાવવામાં આવી છે. તો વેદા કૃષ્ણામૂર્તિને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વેદા વન-ડે ટીમથી બહાર છે, એવામાં આ મેચમાં તેમને પોતાનુ પ્રદર્શન ફરીથી સાબિત કરવાની તક મળશે.

(3:56 pm IST)