નિવૃત્તિ અંગે વિચારણા નહીં કરવા મહેન્દ્રસિંહ ધોનીને લતા મંગેશકરની અપીલ
ટ્વિટ કરીને ગાયિકા લતા મંગેશકરે અપીલ કરી : મહેન્દ્રસિંહ ધોનીના ચાહકોની નિવૃત્તિ ન લેવાની અપીલ
નવીદિલ્હી, તા. ૧૧ : વર્લ્ડકપમાં ભારતના અભિયાનની પૂર્ણાહૂતિ થયા બાદ તરત જ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઈ હતી. આ ચર્ચાઓના દોર વચ્ચે ધોનીના ક્રિકેટ ચાહકો ભારે નિરાશ દેખાઈ રહ્યા હતા અને નિવૃત્તિ નહીં લેવાની અપીલ કરી રહ્યા હતા. આવા ચાહકોના દેશની મહાન ગાયિકા લતા મંગેશકર પણ સામેલ છે. લતા મંગેશકરે આજે ટ્વિટ કરીને નિવૃત્તિ ન સ્વીકારવા ધોનીને અપીલ કરી હતી. લતા મંગેશકરે કહ્યું છે કે, હાલમાં તેઓ સાંભળી રહ્યા છે કે, ધોની નિવૃત્તિ લેવા માટે ઇચ્છુક છે પરંતુ તેમની સલાહ છે કે, ધોનીએ નિવૃત્તિ લેવાની વિચારણા પણ હાલમાં કરવી જોઇએ નહીં. લતા મંગેશકરે ધોનીને વિનંતી કરીને આ મુજબની વાત કરી છે. નિવૃત્તિ લેવા અંગે વિચારણા પણ કરવાની જરૂર નથી. લતા મંગેશકરના કહેવા મુજબ ધોની હજુ પણ ટોપના સ્તર પર ટોચના સ્તરની રમત રમી રહ્યો છે જેથી નિવૃત્તિ લેવા અંગે કોઇ વિચારણા કરવી જોઇએ નહીં. વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં પણ ધોનીએ શાનદાર રમત રમીને અડધી સદી કરી હતી અને છેલ્લી ઘડીએ રનઆઉટ થતાં મેચની રોમાંચકતા ખતમ થઇ હતી.