ખેલ-જગત
News of Tuesday, 11th June 2019

વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને ફટકો પડ્યો : શિખર ધવન બહાર થયો

ઓસ્ટ્રેલિયા સામે ઇજા બાદ અંગૂઠામાં ફ્રેક્ચર આવતા મુશ્કેલી : વર્લ્ડકપની આગામી મેચોમાં હવે રમી શકસે નહીં : ત્રણ સપ્તાહ સુધી તબીબોએ આરામની સલાહ આપતા સમગ્ર વર્લ્ડકપ ગુમાવશે : ક્રિકેટ ચાહકોને આઘાત

નવીદિલ્હી, તા. ૧૧ : વિશ્વકપમાં શરૂઆતની બે મેચોમાં શાનદાર દેખાવ કરનાર ભારતીય ટીમને આજે મોટો ફટકો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની સામે મેચમાં ઇજાગ્રસ્ત થયા બાદ શિખર ધવન હવે વર્લ્ડકપમાં સંભવિતરીતે રમી શકશે નહીં. મંગળવારના દિવસે કરાવવામાં આવેલા સ્કેન બાદ શિખર ધવનના અંગુઠામાં ફ્રેક્ચર હોવાની બાબત સપાટી ઉપર આવી છે અને તબીબોએ શિખર ધવનને ત્રણ સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી દીધી છે. ઓસ્ટ્રેલિયાની સામે મેચ દરમિયાન શિખર ધવનના ડાબા હાથના અંગૂઠા ઉપર ઇજા થઇ હતી. ઓસ્ટ્રેલિયાની સામે વિશ્વકપ મેચમાં ભારતની જીતમાં શિખર ધવન હિરો તરીકે રહ્યો હતો. ઝડપી બોલર કોલ્ટર નાઇલની બોલિંગમાં તેને ઇજા થઇ હતી. ઇજા થઇ હોવા છતાં શિખર ધવને બેટિંગ જારી રાખી હતી. શિખર ધવને ૧૦૯ બોલમાં ૧૧૭ રનની ઇનિંગ્સ રમી હતી. ધવનની ઇજાના પરિણામ સ્વરુપે તે ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં ઉતરી શક્યો ન હતો. રવિન્દ્ર જાડેજાએ ૫૦ ઓવર સુધી ફિલ્ડિંગ કરી હતી. ભારતીય ટીમની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે કેએલ રાહુલ વિકલ્પ તરીકે છે. રાહુલ અગાઉ પણ ઓપનિંગમાં બેટિંગ કરી ચુક્યો છે. ધવનની જગ્યાએ ટીમમાં ઓપનિંગમાં કોને જગ્યા મળશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. સુત્રોના કહેવા મુજબ ધવનની જગ્યાએ વ્યાપક વિચારણા બાદ બેટ્સમેનને સામેલ કરવામાં આવશે. કેએલ રાહુલ રાઇટ હેન્ડ બેટ્સમેન છે. આવી સ્થિતિમાં શિખર ધવનની હાજરી ટીમ માટે વધારે સારી હતી. લેફ્ટ અને રાઇટ હેન્ડ બેટ્સમેનની સાથે ઓપનિંગ ભાગીદારીને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલથી ઓપનિંગ કરાવવાથી લઇને હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતીય ટીમ પોતાની આગામી મેચ ન્યુઝીલેન્ડ સામે રમનાર છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં શિખર ધવનને ઇજા થવાના કારણે ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. તેની ગેરહાજરીમાં ઓપનિંગ જોડી હવે કેવું કામ કરે છે તે મહત્વપૂર્ણ રહેશે. ભારતે વર્લ્ડકપની શરૂઆત જોરદારરીતે કરી છે. શરૂઆતની બંને મેચો જીતી છે જે પૈકી પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. વર્લ્ડકપમાં ભારતીય ટીમને પ્રબળ દાવેદાર તરીકે પહેલાથી જ ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને શિખર ધવનની ગેરહાજરીમાં ફટકો પડ્યો છે. શિખર ધવનની જગ્યાએ ઋષભ પંતને સામેલ કરવામાં આવ્યો છે પરંતુ તેને ટીમમાં કઇ જગ્યાએ બેટિંગમાં સામેલ કરાશે તે અંગે હજુ કોઇ વાત કરાઈ નથી. દિનેશ કાર્તિક પણ પહેલાથી જ ઇંગ્લેન્ડમાં હોવાથી ભારત પાસે અનેક પ્રકારના વિકલ્પો થઇ ગયા છે.

(7:37 pm IST)