ભારત -વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી T20માં બુમરાહ, ઉમેશ અને કુલદીપને આરામ:સિદ્ધાર્થ કૌલનો ટીમમાં સમાવેશ
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજો અને અંતિમ ટી-20 મેચ 11 નવેમ્બર (રવિવાર) ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ મેચ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય લીધો છે. ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચ પહેલા સિદ્ધાર્થ કૌલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા શ્રેણીના પ્રથમ બે મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી ચુકી છે. તેવામાં પસંદગીકારો કેટલાક યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે.
બીસીસીઆઈએ ત્રીજી મેચ માટે ટીમની જાહેરાત કરતા જણાવ્યું કે, ત્રીજી મેચ માટે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા ત્રણ બોલરોને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે.
ત્રણ ટી20 મેચની આ શ્રેણીનો પ્રથમ મેચ કોલકત્તામાં રમાયો, જ્યાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો. ત્યારબાદ બીજો મેચ લખનઉમાં રમાયો. ટીમ ઈન્ડિયાએ રોહિતની શાનદાર સદીની મદદથી 71 રનથી મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.