ગાવસ્કરને આપેલી કેપમાં તેમના ટેસ્ટ પદાર્પણની તારીખ લખેલી છે
(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સુનીલ ગાવસ્કરનું બીસીસીઆઇ દ્વારા તેમના ટેસ્ટ પદાર્પણની પ૦ મી જન્મ જયંતિએ સન્માન કરવામાં આવ્યું હતું. બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે બેટિંગ લેજન્ડ અને તેમના સહયોગીઓએ ટીમને બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. ૭૧ વર્ષના ગાવસ્કરનું બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ દ્વારા સ્પેશીયલ કેપ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કેપ પર ગાવસ્કરના ટેસ્ટ પદાર્પણની તારીખ ૬ માર્ચ ૧૯૭૧ લખેલી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની અંતિમ ટેસ્ટના લંચ દરમિયાન ગાવસ્કરનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાવસ્કરે પણ જણાવ્યું હતું કે મેં જે સ્ટેડીયમ પર દસ હજાર રન પુરા કર્યા હતા તેના પર જ મારા ટેસ્ટ પ્રવેશના પ૦ વર્ષની ઉજવણી થઇ તેનાથી મને ઘણો આનંદ થયો છે. તેની સાથે તેમણે મેદાનમાં ફરી પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું હતું.