કાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 ક્રિકેટ મેચઃ સંજુ સેમસન અને મનીષ પાંડેને તક અપાશેઃ શિખર ધવન અને લોકેશ રાહુલ ઉપર સૌની નજર
પુણેઃ શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ શુક્રવારે પુણેમાં સાંજે 7 કલાકથી રમાશે. ભારતીય ટીમની સામે તે દુવિધા રહેશે કે તે જીત હાસિલ કરનાર સંયોજનને યથાવત રાખશે કે પછી સંજૂ સેમસન અને મનીષ પાંડેને તક આપશે. ઈન્દોરમાં અનુભવહીન શ્રીલંકાની ટીમ એકપણ ક્ષેત્રમાં ભારતને ટક્કર ન આપી શકી અને તેને જોતા પાંડે તથા સેમસનને ટીમમાં સામેલ કરી શકાય છે.
ઘણા ખેલાડીઓને નથી મળી તક
પાંડેએ હાલની સિરીઝ સહિત છેલ્લી ત્રણ સિરીઝમાં માત્ર એક મેચ રમી છે. તો નવેમ્બરમાં બાંગ્લાદેશ સિરીઝમાં વાપસી કરનાર સેમસનને હજુ એકપણ મેચ રમવાની તક મળી નથી. ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વિશ્વકપને જોતા ભારતીય ટીમ સંયોજનમાં પ્રયોગ કરતી આવી રહી છે પરંતુ આ ખેલાડીઓની પરીક્ષા લેવાની બાકી છે. તો બીજીતરફ સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની માટે પ્રભાવ છોડવાની તક છે અને તેણે છેલ્લી મેચમાં મળીને પાંચ વિકેટ ઝડપી બધાને પ્રભાવિત કર્યાં હતા.
સેમસન અને પાંડે સતત બેન્ચ પર
વોશિંગટન સુંદર અને ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની જગ્યાએ સામેલ થયેલા શિવમ દુબેને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરવાની ઘણી તક મળી છે. ઈન્દોરમાં જીત હાસિલ કર્યા બાદ કેપ્ટન કોહલીએ જણાવ્યું કે ટીમ દરેક મેચની સાથે સારી થતી જાય છે. તેમણે સંકેત આપ્યો કે પ્રસિદ્ધ કૃષ્ણા ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપ માટે સરપ્રાઇઝ પેકેજ સાબિત થઈ શકે છે. સેમસન અને પાંડે બેન્ચ પર રહેવાથી થોડા નિરાશ હશે, પરંતુ શુક્રવારે તેને તક મળી શકે છે.
શિખર અને રાહુલ પર રહેશે નજર
પરંતુ તે વાતનો ઇનકાર ન કરી શકાય કે ટીમ મેનેજમેન્ટ સિરીઝ જીતવાના ઈરાદાથી અંતિમ ઇલેવનની પસંદગી કરશે. તમામની નજર શિખર ધવન પર પણ રહેશે જે લોકેશ રાહુલની સાથે બીજા ઓપનિંગ બેટ્સમેનના સ્થાનની રેસમાં છે. પરંતુ આ સમયે રાહલુ ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માના જોડીદારના રૂપમાં તેનાથી આગળ દેખાઈ રહ્યો છે. જસપ્રીત બુમરાહે પોતાની વાપસી મેચમાં સારૂ ન કરી શક્યો પરંતુ તે અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છશે.
ચહલ અને જાડેજા ફરી બહાર રહેશે
પંડ્યાની વાપસી બાદ જો દુબેએ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવું છે તો બેટિંગમાં તક મળવા પર તેણે શાનદાર પ્રદર્શન કરવું પડશે. ઈન્દોરમાં ઠાકુર અને સૈનીએ પ્રભાવિત કર્યાં હતા. ઠાકુર ડેથ ઓવરોમાં સારો હતો તો સૈનીએ પોતાની ગતી અને ઉછાળથી બેટ્સમેનોને પરેશાન કર્યાં હતા. શ્રીલંકાની ટીમમાં ઘણા ડાબા હાથના બેટ્સમેન છે તો સ્પિનર કુલદીપ યાદવ અને વોશિંગટન સુંદર ટીમમાં પોતાનું સ્થાન યથાવત રાખશે તેવી આશા છે. જો બંન્ને ટીમમાં હશે તો જાડેજા અને ચહલે ડગઆઉટમાં બેસવું પડશે.
આ માટે શ્રીલંકા છે મુશ્કેલમાં
શ્રીલંકાની ટીમે જો ભારતીય ટીમને પડકાર આપવો પડશે તો તેણે ઘણું કામ કરવું પડશે. બેટ્સમેનોએ સારી શરૂઆત મેળવ્યા બાદ મોટી ઈનિંગ રમવી પડશે. ઓલરાઉન્ડર ઉડાના ઈજાગ્રસ્ત થવાથી પણ ટીમને ઝટકો લાગ્યો છે, જે ઈન્દોરમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના મુખ્ય બોલરે ઈન્દોરમાં બોલિંગ ન કરી. શ્રીલંકાની ટીમ બેટિંગ વિભાગમાં અનુભવનો ફાયદો ઉઠાવી શકે છે. 16 મહિના બાદ ટી20માં વાપસી કરનાર એન્જેલા મેથ્યુઝને પણ અંતિમ ઇલેવનમાં તક મળી નથી. પરંતુ શુક્રવારે તેને તક મળી શકે છે.
ટીમ આ પ્રકારે છે
ભારતઃ વિરાટ કોહલી, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, સંજૂ સેમસન, રિષભ પંત, શિવમ દુબે, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની અને વોશિંગટન સુંદર.
શ્રીલંકાઃ લસિથ મલિંગા, ધનુષ્કા ગુણતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, એન્જેલો મેથ્યુઝ, દાસુન શનાકા, કુસલ પરેરા, નિરોશન ડિકવેલા, ધનંજય ડિ સિલ્વા, ઇસુરુ ઉડાના, ભાનુકા રાજપક્ષે, ઓશદા ફર્નાન્ડો, વાનિન્દુ હસરન્ગા, લાહિરુ કુમારા, કુસલ મેન્ડિસ, લક્ષણ સન્દાકન અને કસુન રજીતા.