ઈમરાનની પાકિસ્તાનની ટીમને સલાહઃ ભારત પર નહિં રમત પર ધ્યાન આપો
ભારત પાકિસ્તાન વચ્ચે આગામી ૧૬ જૂને ક્રિકેટ વિશ્વ કપમાં મેચ યોજાશે. જોકે, આ મેચ પહેલાં જ બંને દેશોમાં તણાવ વધી રહ્યો છે. બંને ટીમના ચાહકો એક બીજા પાસેથી જીતની અપેક્ષા રાખી રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાની ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે મંજૂરી માંગી હતી કે તેઓ ભારત સામેની મેચમાં દરેક વિકેટને અલગ રીતે ઊજવવા માંગે છે. જોકે, આ દ્યટનાક્રમના પગલે હવે પાકિસ્તાનના વડાપ્રધાન અને પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન પણ હરકતમાં આવ્યા છે. ઇમરાન ખાને પાકિસ્તાનની ટીમને સલાહ આપી છે કે ખેલાડીઓ ભારતના બદલે રમત પર ધ્યાન આપે.
પુલવામામાં થયેલા ફિદાયીન હુમલા બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં આર્મીની કેપ પહેરી અને મૃતક શહીદોને શ્રદ્ઘાંજલી આપી હતી. પાકિસ્તાન સરકારના એક વરિષ્ઠ અધિકારી મુજબ પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારતના આ પગલાનો બદલો લેવા માંગતી હતી. જોકે, પીએમ ઇમરાને પાકિસ્તાનની ટીમને આ પ્રકારની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.