ખેલ-જગત
News of Friday, 7th May 2021

રોહિત, ગિલ, રાહુલ, અગ્રવાલનું સ્થાન નકકી, પૃથ્વી શો નો ટીમમાં સમાવેશ કરાશે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે : ટીમમાં ૪ ઓપનર, ૫ મિડલ ઓર્ડર બેટસમેન, ૮-૯ ફાસ્ટ બોલર, ૪-૫ સ્પિનર, ૨-૩ વિકેટકીપરનો સમાવેશ કરાશે

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમ ઈન્ડિયા ટીમમાં ચાર ઓપનર, પાંચ મિડલ ઓર્ડર બેટ્સમેન, આઠથી નવ ફાસ્ટ બોલર, ચારથી પાંચ સ્પિનર અને બેથી ત્રણ વિકેટકીપર હોઈ શકે છે. પૃથ્વી શો અને હાર્દિક પંડ્યાની વાપસી પર બધાની નજર રહેશે. ૧૮ થી ૨૨ જુન સુધી ઈંગ્લેન્ડના સાઉથેમ્યટન ખાતે ફાઈનલ મુકાબલો રમાશે.

ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિ તે મોટાભાગના ખેલાડીઓને તક આપી શકે છે, જેણે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી. હાર્દિક પંડ્યા પર બધાની નજર રહેશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી૨૦ મેચમાં રેગ્યુલર બોલિંગ કરી રહ્યો નથી. પસંદગીકારો તેના વિકલ્પ પર ચર્ચા કરી શકે છે. આઈપીએલ ૨૦૨૧માં શાનદાર પ્ર દર્શન કરનાર પૃથ્વી શોના નામની ચર્ચા થઈ શકે છે. ચાર અન્ય ઓપનિંગ બેટ્સમેનોમાં રોહિત શર્મા, શુભમન ગિલ, કેએલ રાહુલ અને મયંક અગ્રવાલની ટીમમાં જગ્યા નકકી છે, છતાં પણ મુંબઈના બેટ્સમેન શો પર બધાની નજર છે.

ફાસ્ટ બોલરોમાં પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે. ૨૫ વર્ષના પ્રસિદ્ધે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું અને પસંદગીકારો તેનાથી પ્રભાવિત છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરને ટીમમાં તક મળી શકે છે. ઈજાને કારણે બહાર રહેલા શમીની વાપસી થઈ શકે છે. સ્પિનર તરીકે અક્ષર પટેલ અને અશ્વિનનું નામ ફાઇનલ છે. તો રવીન્દ્ર જાડેજા અને હનુમાન વિહારી ટીમમાં વાપસી કરી શકે છે.

(3:22 pm IST)