મેચમાં અડધી સદી જોયા પહેલા મારી પુત્રી સુઇ ગઇ તે મને હંમેશા યાદ રહેશેઃ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા
મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલના પ્રથમ ક્વોલિફાયરમાં જગ્યા બનાવ્યા બાદ કહ્યું કે, તેની ટીમ માટે ટૂર્નામેન્ટનો અંતિમ તબક્કો ખુબ મહત્વ રાખે છે અને તેણે ધીમી શરૂઆત બાદ મજબૂતીથી વાપસીની આદત બનાવી લીધી છે. મુંબઈએ રવિવારે અંતિમ લીગ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ને નવ વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. પરંતુ મેચમાં રોહિતની અડધી સદી જોયા પહેલા તેની પુત્રી સુઈ ગઈ હતી, જે તેને યાદ રહેશે.
પોતાના પ્રદર્શન વિશે વાત કરતા રોહિતે પોતાની પુત્રીને પણ યાદ કરી હતી. તે બોલ્યો, મારી પુત્રી અહીં મને દરેક મેચમાં રમતો જોવા આવી રહી હતી. પ્રથમ મેચમાં રન ન બનાવી શક્યો પરંતુ આજે બનાવ્યા તો તે સુઈ ગઈ હતી. મહત્વનું છે કે, રોહિત ડિસેમ્બર 2018માં પિતા બન્યો હતો. પત્ની રિકિકાએ 31 ડિસેમ્બરે પુત્રીને જન્મ આપ્યો હતો. તેણે પુત્રીનું નામ સમાયરા રાખ્યું છે.
રોહિતે મેચ બાદ કહ્યું, 'અમને ખ્યાલ છે કે આઈપીએલમાં અંતિમ લીગ મેચ ખુબ મહત્વ ધરાવે છે.' અમે હંમેશા બીજા હાફમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેણે કહ્યું, આઈપીએલ શાનદાર ટૂર્નામેન્ટ છે જેમાં કોઈપણ ટીમ ગમે તે ટીમને હરાવી શકે છે. અમે નાના-નાના પગલા ભરીને આગળ વધવા ઈચ્છીએ છીએ. હવે પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઈનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ થશે.
રોહિતે જીતનો શ્રેય ટીમ પ્રયાસોને આપતા કહ્યું, મને સૌથી વધુ ખુશી તે વાતની છે કે અમે ટીમ પ્રયાસોથી જીત્યા. અમે કેટલાક ખેલાડીઓ પર નિર્ભર ન રહ્યાં. જરૂર પડવા પર તમામે યોદગાન આપ્યું.