ઓસ્ટ્રેલીયા સામે ની T-20 સીરીઝમાંથી જાડેજા બહાર : શાર્દુલ ઠાકુર નો સમાવેશ
રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતા ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને તક
મુંબઈ :ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટી -20 સિરીઝમાંથી બહાર કર્યો છે,તેમની જગ્યાએ ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રથમ ટી -20 મેચમાં ભારતીય ઇનિંગની અંતિમ ઓવરમાં મિશેલ સ્ટાર્ક નો બોલ જાડેજાના હેલ્મેટ સાથે પટકાયો હતો. જે બાદ જાડેજા ફિલ્ડિંગ દરમિયાન મેદાનમાં દેખાયા નથી. તેમની જગ્યાએ, યુઝવેન્દ્ર ચહલ મેદાનમાં આવ્યા હતા.
ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ નિવેદનમાં જણાવ્યું છે કે, 'ઈનિંગની અંતિમ ઓવરમાં કેનેબરામાં ઓસ્ટ્રેલિયા સામેની ટી -૨૦ મેચમાં બેટિંગ કરતી વખતે જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ બીસીસીઆઈની મેડિકલ ટીમે ઇનિંગ્સ બ્રેક દરમિયાન લીધો હતો. નિદાનની પુષ્ટિ ડ્રેસિંગ રૂમમાં ક્લિનિકલ મૂલ્યાંકનના આધારે કરવામાં આવી હતી.જાડેજા નિરીક્ષણ હેઠળ છે અને મૂલ્યાંકનના આધારે જો જરૂરી હોય તો તેને સ્કેન માટે લઈ જવામાં આવશે.તે ચાલુ ટી -20 શ્રેણીમાં વધુ ભાગ લેશે નહીં.
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શાર્દુલ ઠાકુરને જાડેજાની જગ્યાએ ભારતની ટી 20 ટીમમાં સમાવેશ કર્યો છે."
ઓસ્ટ્રેલિયા સામેની ટી -20 શ્રેણીની આગામી બે મેચ માટે ભારતની ટીમ નીચે મુજબ છે: વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન અને વિકેટકીપર), શિખર ધવન, મયંક અગ્રવાલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, ટી નટરાજન અને શાર્દુલ ઠાકુર.