કાલે ભારત- વિન્ડીઝ વચ્ચે પ્રથમ ટી- ૨૦
વધુ એક સિરીઝ જીતવા ટીમ ઈન્ડિયા સજજઃ સાંજે ૭ વાગ્યાથી જીવંત પ્રસારણ
હૈદરાબાદ,તા. ૫: જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે હૈદરાબાદ ખાતે રમાનાર છે. ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં બાંગ્લાદેશ સામે જોરદાર દેખાવ કર્યા બાદ ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ભવ્ય દેખાવ કરીને વેસ્ટ ઇન્ડિઝને પછડાટ આપવા માટે તૈયાર છે.
વર્તમાન વિન્ડીઝની ટીમ ટ્વેન્ટી મેચમાં ખુબ શાનદાર દેખાવ કરી શકે તે રીતે આક્રમક ખેલાડી ધરાવે છે. બંને દેશોના સ્ટાર ખેલાડી અને વર્તમાન શ્રેણીમાં તક મેળવી ચુકેલા ખેલાડીઓ તેમની કુશળતા સાબિત કરવા માટે તૈયાર છે.
પ્રથમ મેચ રમાયા બાદ બીજી મેચ આઠમી ડિસેમ્બરના દિવસે થિરુવનંતપુરમ ખાતે રમાનાર છે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટ્વેન્ટી મેચ મુંબઇમાં ૧૧મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને હાલમાં દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણવામાં આવે છે. વિપક્ષી ટીમની રણનિતી પણ વિરાટ કોહલીની આસપાસ જ રહે છે.
વેસ્ટ ઇન્ડિઝ ટીમના કોચ ફિલ સિમોન્સે કહ્યુ છે કે કોહલીને આઉટ કરવાની રણનિતી પર કામ કરવામાં આવી રહ્યુ છે. સિમોન્સે કહ્યુ છે કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. સિમોન્સે કહ્યુ છે કે અમારી રણનિતી યોજનાને અંજામ સુધી પહોંચાડી દેવા માટેની રહેલી છે. ટ્વેન્ટી મેચોની શ્રેણી બાદ બંને ટીમો વચ્ચે વનડે મેચ પણ રમાનાર છે. જે પૈકીની પ્રથમ મેચ ૧૫મી ડિસેમ્બરના દિવસે રમાનાર છે. સિમોન્સે કબુલાત કરતા કહ્યુ છે કે વર્તમાન ભારતીય ટીમને પરાજિત કરવાની બાબત ખુબ મુશ્કેલ છે.
તાજેતરમાં આઈસીસી તરફથી જારી કરવામાં આવેલા ટેસ્ટ રેંકિંગમાં વિરાટ કોહલી ૯૨૮ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે જ્યારે સ્ટિવ સ્મિથ ૯૨૩ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. એસીઝ શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યા બાદ સ્ટિવ સ્મિથ નંબર વન બની ગયો હતો પરંતુ હવે વિરાટ કોહલી ફરી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ભારતના ચેતેશ્વર પુજારા ચોથા અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન ત્રીજા સ્થાને છે. બોલિંગમાં જસપ્રિત બુમરાહ પાંચમાં સ્થાને છે.
વિન્ડીઝ ઃ કિરોન પોલાર્ડ (કેપ્ટન), એલેન, કોટ્રેલ, હેટમાયર, જેસન હોલ્ડર, બેન્ડન કિંગ, ઇવિન લેવિસ, કીમો પૌલ, નિકોસલ પુરન, દિનેશ રામદીન, ખેરી પિયર, રૃદરફોર્ડ, લેન્ડલ સિમોન્સ, હેડેન વોલ્શ, કેસરિક વિલિયમ્સ છે.