ખરાબ વર્તન સહન નહીં કરાય
વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનના હોકી કોચે ખેલાડીઓને આપી ચેતવણી
ચાર વર્ષ પહેલા ભુવનેશ્વરમાં ચેમ્પિયન્સ ટ્રોફીના અનુભવમાંથી શીખ લેતા પાકિસ્તાનની હોકી ટીમના કોચ હસન સરદારે આ મહિનાના અંતમાં એજ મેદાનમાં શરૂ થનારા વર્લ્ડકપમાં ખેલાડીઓની પોતાની રમત ઉપરાંત વર્તન પર પણ ધ્યાન આપવા જણાવ્યું છે. વળી ભારતને વર્લ્ડકપમાં સેમી ફાઈનલ માટે પ્રબળ દાવેદાર ગણાવતા કહ્યું હતું કે યજમાન ટીમ કેટલાક સમયથી સારા ફોર્મમાં છે તેમ જ ઘરઆંગણે રમવાનો લાભ મળશે. ભુવનેશ્વરમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૧૪ બાદ પાકિસ્તાનની હોકી ટીમ પહેલી વખત ભારતમાં કોઈ ટુર્નામેન્ટ રમશે. ચાર વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓએ ટી-શર્ટ કાઢીને દર્શકો તરફ અભદ્ર ઈશારાઓ કર્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના હોકી સંબંધોમાં કડવાશ આવી હતી.
ઓલિમ્પિકસ (૧૯૮૪) અને એશિયન ગેમ્સ (૧૯૯૨) ગોલ્ડ મેડલ જીતનાર હસન સરદારે કહ્યું હતું કે મેં ખેલાડીઓને ચેતવણી આપી છે કે કોઈ ખરાબ ઘટના ઘટશે તો તેમની સામે સખત કાર્યવાહી કરાશે. ભારતમાં એક ખેલાડી તરીકે મારો અનુભવ ઘણો સારો રહ્યો હતો.(૩૭.૮)