ખેલ-જગત
News of Monday, 4th November 2019

આપણી ટીમે પોતાની ક્ષમતા મુજબ બાંગ્લાદેશની ટીમ સામે પ્રદર્શન ન કરતા પરાજય થયોઃ કેપ્ટન રોહિત શર્મા

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી ટી 20 મેચમાં સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો, આ ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટી-20 હાર હતી. આ હારના કારણો પર ચર્ચા કરતા રોહિતે કહ્યું કે તેમની ટીમે પોતાની ક્ષમતા મુજબ પ્રદર્શન કર્યું નથી.

ટીમ ઈન્ડિયા દરેક મોરચે પછડાઈ

ઈ મેચમાં ટીમ ઈન્ડિયા ટોસ હારીને પહેલા દાવ લેતા 20 ઓવરોમાં છ વિકેટ ગુમાવીને માત્ર 148 રન કરી શકી. બાંગ્લાદેશની ટીમે 149 રનના સરળ લક્ષ્યાંકને 3 બોલ બાકી હતા અને પૂરો કરી લીધો. આ મેચમાં બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે તોફાની ઈનિંગ રમતા 60 રનનું યોગદાન આપ્યું અને ટીમને જીત અપાવી. આ મેચમાં બાંગ્લાદેશના બોલરોનું પ્રદર્શન પણ ભારતીય બોલરો કરતા સારું રહ્યું હતું.

સામે કોણ છે તે અમે જોતા નથી-રોહિત

મેચ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રોહિત શર્માએ કહ્યું કે અમે રમતી વખતે એ નથી જોતા કે વિરોધી ટીમ કઈ છે. અમારું ધ્યાન અમારા કામ પર હોય છે. જે મેદાનમાં આવીને કરવાનું હોય છે તે આપણે કરવું જોઈએ. અમારા માટે એ મહત્વનું નથી કે સામે કોણ છે. અમે વિરોધી ટીમની બોલિંગ અને બેટિંગ પર તો ધ્યાન રાખીએ જ છીએ પરંતુ વિરોધી ટીમ પર વધુ પડતું ધ્યાન રાખવું એ પણ સારું નથી.

આમાં રહ્યાં નિષ્ફળ

રોહિતે મેચમાં ટીમના દ્રષ્ટિકોણ અંગે વાત કરતા કહ્યું કે હું એમ નહીં કહું કે અમે તેમને હળવાશમાં લીધા. જ્યારે અમે મેદાન પર ઉતરીએ છીએ ત્યારે રેકોર્ડ જોતા નથી, અમે ફક્ત તેને નવી મેચની જેમ જોઈએ છીએ અને ઈચ્છીએ છીએ કે અમે મેચ જીતીએ. આથી અમે અમારી ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરીએ છીએ , જેમાં અમે આ વખતે નિષ્ફળ ગયાં.

શું વિરાટની ખોટ પડી ટીમ ઈન્ડિયાને

આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીને આરામ અપાયો છે. વિરાટની ગેરહાજરી અંગે રોહિતે કહ્યું કે બેશક તેઓ અમારા માટે એક સારા ખેલાડી છે, જ્યારે પણ તે રમતા નથી ત્યારે તેની ભરપાઈ કરવી મુશ્કેલ બને છે.

રિવ્યુ ગુમાવવામાં પંતની ભૂમિકા

મેચની 10મી ઓવરમાં ટીમ ઈન્ડિયાએ રિવ્યુ લીધો હતો જ્યારે યુજવેન્દ્ર ચહલની બોલિંગ પર પંતને ભરોસો હતો કે સૌમ્ય સરકારે કેચ કર્યો છે. આ રિવ્યુ ગુમાવવા પર રોહિતે કહ્યું કે જ્યારે તમે યોગ્ય પોઝિશનમાં ન હોવ ત્યારે તમારે બોલરો અને વિકેટકિપર પર ભરોસો કરવાનો રહે છે. પંત હજુ યુવા છે અને તેમણે 10-12 ટી20 ઈન્ટરનેશનલ પણ રમી નથી. તેમણે હજુ આ પ્રકારની ચીજોને સમજવાની છે. તેઓ અત્યારે આ  પ્રકારના નિર્ણય લઈ શકે કે નહી તે કહેવું અત્યારે તો ઉતાવળ રહેશે. આપણે તેમને અને બોલરોને સમય આપવો પડશે.

(5:13 pm IST)