મોહાલીમાં ભારતીય ટીમ માટે કરો યા મરોની પરિસ્થિતિ
નવી દિલ્હી:નાલેશીભર્યા બેટીંગ ધબડકા બાદ પ્રથમ વન ડેમાં મળેલી હારના આઘાતમાંથી બહાર આવીને ભારત આવતીકાલે રમાનારી શ્રીલંકા સામેની વન ડેમાં જીતના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. ભારત માટે આવતીકાલનો વન ડે મુકાબલો કરો યા મરોનો બની રહેશે. ટીમ ઈન્ડિયાએ ત્રણ વન ડેની શ્રેણી જીવંત રાખવા માટે આવતીકાલે મોહાલીમાં જીતવું જ પડશે. જ્યારે શ્રીલંકાને ભારતની ભૂમિ પર સૌપ્રથમ વન ડે શ્રેણી જીતીને ઈતિહાસ રચવાની તક છે. થિસારા પરેરાની આગેવાનીમાં શ્રીલંકા પ્રથમ વન ડેમાં વિજય મેળવીને ઉત્સાહિત છે. જ્યારે કોહલીની ગેરહાજરીમાં કેપ્ટન્સી સંભાળી રહેલા રોહિત શર્મા પર દબાણ સર્જાયું છે. મોહાલીની ગ્રીન ટોપ પીચ પર ટોસ મહત્વની ભૂમિકા ભજવશે તે નિશ્ચિત લાગી રહ્યું છે. ધરમશાળામાં ભારતે ટોસ ગુમાવ્યો હતો અને શ્રીલંકાના ફાસ્ટ બોલરોએ પીચ અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા ભારતના બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. હવે આવતીકાલે ટીમ ઈન્ડિયા વધુ જવાબદારી સાથે બેટીંગ કરે તેવું ટીમ મેનેજમેન્ટ ઈચ્છી રહ્યું છે.