મુંબઇ ટેસ્ટઃ વિરાટની ટીમમાં એન્ટ્રીથી મયંકની હકાલપટ્ટી ? : સાહાની ફીટનેસ પર પણ શંકા
ટીમની પસંદગી કરવા દ્રવીડને મથામણ કરવી પડશે
મુંબઈઃ બીજી ટેસ્ટ મેચમાં ખેલાડીઓની પસંદગી મામલે કોચ રાહુલ દ્રવિડ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં પરત ફર્યા બાદ અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા કે મયંક અગ્રવાલ ૧૧માં સ્થાન મેળવશે કે કેમ તે અંગે દ્રવિડે સખત નિર્ણય લેવો પડશે.
મયંક અગ્રવાલે કોહલી માટે જગ્યા ખાલી કરવી પડી શકે છે. જો આમ થશે તો તે મયંક સાથે અન્યાય સમાન હશે. ૧૫ ટેસ્ટમાં તેની એવરેજ ૪૩.૨૮ છે. તેણે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે પણ બેવડી સદી ફટકારી છે. તે જ સમયે, વિદેશમાં ન્યુઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમ્યા બાદ તેણે ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્મા માટે જગ્યા ખાલી કરવી પડી હતી. આ પછી તે ઈંગ્લેન્ડ પ્રવાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેથી જો તેને એક ટેસ્ટ પછી જ બહાર મોકલવામાં આવે તો તે તેની સાથે અન્યાય થશે.
હાલમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહાની ફિટનેસ પર શંકા છે. જો તે સંપૂર્ણ રીતે ફિટ ન હોય તો, ધ્લ્ ભરત તેનું સ્થાન લેશે, જેણે તેની ૧૨૩ ફર્સ્ટ કલાસ ઇનિંગ્સમાં ૭૭ વખત ઓપનિંગ કર્યું છે. તેના નામે એક ત્રેવડી સદી અને ઓપનર તરીકે ત્રણ સદી સામેલ છે.