ખેલ-જગત
News of Thursday, 3rd December 2020

IPLમાં બે નવી ટીમો માટે બોર્ડની બેઠકમાં નિર્ણય થશે

બીસીસીઆઈનો રાજ્યના બોર્ડોને ૨૩ મુદ્દાનો એજન્ડા : ૨૪મીએ બોર્ડની બેઠકના એજન્ડામાં નવા ઉપપ્રમુખની ચૂંટણીનો મુદ્દો છે, ટી૨૦ વર્લ્ડકપ સહિતના મુદ્દે પણ ચર્ચા

નવી દિલ્હી, તા. ૩ : બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા ની મહત્વની બેઠક ૨૪ ડિસેમ્બરના યોજાશે. આ બેઠકમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નવી બે ટીમોને (ફ્રેન્ચાઈઝ)ને દાખલ કરવા તેમજ આઈસીસીમાં ભારતીય પ્રતિનિધિઓ અને ત્રણ નવા રાષ્ટ્રીય પસંદગીકારો જેવા મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. આ ઉપરાંત બેઠકના એજન્ડામાં નવા ઉપપ્રમુખની ચૂંટણી પણ છે. નોંધનીય છે કે બોર્ડે તેના તમામ સ્ટેટ એસોસિએશનોને ૨૧ દિવસ અગાઉ તેમની બેઠકના ૨૩ મુદ્દાનો એજન્ડા મોકલી આપ્યો હતો. બોર્ડની બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો આઈપીએલમાં વધુ બે ટીમોને મંજૂરી આપીને કુલ ૧૦ ટીમો કરવાનો છે. બોર્ડના આંતરિક સૂત્રોના મતે આઈપીએલમાં અદાણી જૂથ અને સંજીવ ગોયેક્ના આરપીજી જૂથ પોતાની ટીમ ઉતારવામાં રસ ધરાવે છે. જો બોર્ડ દ્વારા આઈપીએલમાં નવી બે ટીમો માટે લીલીઝંડી આપવામાં આવે છે તો અમદાવાદ અને પુણેની ટીમનો આઈપીએલમાં સમાવેશ થવાની સંભાવના છે.

આ ઉપરાંત બેઠકમાં આઈસીસી તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં બોર્ડના પ્રતિનિધિઓની પસંદગીનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. એક અંદાજ મુજબ બોર્ડના સચિવ જય શાહ વૈશ્વિક કમિટીમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરી શકે છે. દરમિયાન પસંદગીકારોના ચેરમેનની સાથે જ ત્રણ રાષ્ટ્રીય પસંદગીકારોનો મુદ્દો પણ બેઠકના એજન્ડામાં છે.  

બોર્ડના વર્તુળોના મતે બેઠકમાં ભારતીય ટીમાના ભાવિ પ્રવાસ કાર્યક્રમને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત આગામી વર્ષે યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૨૮ના લોસ એન્જલીસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટને રમત તરીકે સ્થાન આપવા જેવી બાબતો ઉપર પણ ચર્ચા થશે.

(9:01 pm IST)