જાડેજાની જગ્યાએ કોણ ટીમમાં સુંદર, પટેલ કે ઠાકુર?
ટીમ ઇન્ડિયા પાંચ બોલરો (ત્રણ ફાસ્ટ,એક સ્પીનર, એક ઓલ રાઉન્ડર) સાથે મેદાનમાં ઉતરશેઃ હાર્દિક બોલીંગ નહિ કરે
ચેન્નાઇઃ ઓસ્ટ્રેલીયાને ઘર આંગણે પછાડયા બાદ હવે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડને ટકકર આપવા તૈયાર છે. પાંચ ફેબ્રુઆરીથી શરૂ થનાર ટેસ્ટ સિરીઝ માટે ખેલાડીઓને પ્રેકટીસ શરૂ કરી દીધી છે.
કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં પરત ફરતા બેટીંગ લાઇનઅપ મજબુત બની છે. ઓસ્ટ્રેલીયામાં અદભૂત દેખાવ કરનારા ખેલાડીઓ જ ટીમમાં છે અને ઇંગ્લેન્ડ સામે પણ તેવા જ જોમજુસ્સો દેખાડવા સજજ છે.
ચેન્નાઇના ચિદમ્બરમ સ્ટેડીયમના મેદાનની પીચ ઉપર ઘાસ છે. જેથી બુમરાહ, ઇશાંત સહિત વધુ એક ઝડપી બોલરને મેદાનમાં ઉતારવા ટીમ મેનેજમેન્ટ વિચારી રહયું છે.
બ્રિસ્ટેન ટેસ્ટમાં ફીફટી અને કુલ સાત વિકેટ લેનાર મીડીયમ પેસર શાર્દુલ ઠાકુરને ઓલરાઉન્ડ તરીકે લેવામાં આવી શકે છે. જો ભારત ત્રણ ફાસ્ટ બોલરો અને બે સ્પીનરને મેદાનમાં ઉતારે તો આવી સ્થીતીમાં સિરાજને બહાર બેસવુ પડશે. જયારે સ્પીનર તરીકે વોશીંગ્ટન સુંદર કે અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવે તેવી શકયતા છે.
ટીમ ઇન્ડિયા ત્રણ ફાસ્ટ બોલરો બુમરાહ, ઇશાંત અને સિરાજને મેદાનમાં ઉતારે તો બેટીંગ લાઇન અપમાં મદદ મળવી મુશ્કેલ છે જો બે સ્પીનરો ઉતારે તો લેફટ આર્મ સ્પીનર કુલદીપ યાદવનો દાવો મજબુત જોવા મળે છે.