ફિટ રહેવું અને રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ પ્રાયોરિટી છે
કેન્દ્રીય ખેલમંત્રી કિરેન રિજિજુનું અનુમાન :પ્રોકેમ ઇન્ટરનૅશનલમાં ખેલપ્રધાને સનફિસ્ટ ઇન્ડિયા રન એઝ વન નામની ડિજિટલ ઇવેન્ટની જાહેરાત કરી હતી
નવી દિલ્હી, તા. ૨ : દેશના ખેલપ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું કે આજના સમયને ધ્યાનમાં રાખીને પ્લેયરોએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી અને ફિટ રહેવું ઘણું જરૂરી છે. તાજેતરમાં ગુરુવારે પ્રોકેમ ઇન્ટરનૅશનલ દરમ્યાન ખેલપ્રધાને સનફિસ્ટ ઇન્ડિયા રન એઝ વન નામની ડિજિટલ ઇવેન્ટની જાહેરાત કરી હતી. આ પહેલું લક્ષ્ય એ લોકોને મદદ કરવાનો છે જેમનું જીવન કોરોનાને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પહેલ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે જે ૧૫ ઑગસ્ટ સુધી ચાલુ રહેશે.
આ પહેલ વિશે વાત કરતાં ખેલપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે 'હાલના કોરોનાના સમયગાળામાં દરેક વ્યક્તિએ ફિટ રહેવું અને પોતાની પ્રતિકારક શક્તિ વધારવી એ અમારી પ્રાયોરિટી છે. ઇન્ડિયા મોમેન્ટ ફિટ ઇન્ડિયા મોમેન્ટ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૧૯ના ઑગસ્ટમાં શરૂ કરવામાં આવી હતી. આ પહેલ આજના સમયમાં ઘણી જરૂરી છે. મને એ જોઈને ઘણું સારું લાગે છે કે આ પહેલને એક મોટા જનસમુદાયનો પ્રતિસાદ મળી રહ્યો છે.
આ રોગચાળાના સમયમાં આપણે સાથે મળીને આ પહેલને લોકો સુધી પહોંચાડવી જોઈએ અને દેશની જનતા એમાં ભાગ લે અને પોતે ફિટ રહે એ દિશામાં કામ કરવું જોઈએ. હું પોતે આ પહેલને બિરદાવું છું.