૨૦૧૪માં રમાયેલી એડીલેડ ટેસ્ટ મેચ ભારત માટે એક માઈલસ્ટોન હતીઃ કોહલી
બન્ને ટીમો માટે ઈમોશનલ અને રોચક હતીઃ દર્શકોને પણ મજા પડી ગઈ 'તી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભૂતકાળની કેટલીક યાદોને વાગોળી હતી, જેમાં તેણે ૨૦૧૪માં રમાયેલી એડીલેડ ટેસ્ટને ભારત માટે એક મહત્વનો માઈલસ્ટોન ગણાવી હતી. કોહલીએ કહ્યું કે 'ભારતીય ટેસ્ટ ટીમ આજે જયાં પહોંચી છે ત્યાં પહોંચાડવા માટે એડીલેડ ટેસ્ટ ઘણી મહત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. ૨૦૧૪માં રમાયેલી એડીલેડ ટેસ્ટ બન્ને ટીમ માટે ઘણી ઈમોશનલ અને રોચક રહી હતી અને સાથે-સાથે દર્શકોને પણ એ મેચ જોવાની મજા પડી હતી. જોકે એમ છતાં અમે મર્યાદા નહોતી ઓળંગી અને એ ગેમ ઘણી અઘરી રહી હતી. અમે સૌ કોઈ પોતપોતાના લક્ષ્ય પ્રત્યે કમિટેડ હતા અને કોઈપણ કપરી પરિસ્થિતિમાં એને હાંસલ કરવા માટે મહેનત કરવા તૈયાર હતા. ટેસ્ટ ક્રિકેટમાં અમારા માટે એ સૌથી મહત્વનો માઈલસ્ટોન હતો.'
એ ટેસ્ટ મેચ અને ટેસ્ટ સિરીઝ ભારત હારી ગયું હતું. ૨૦૧૮-૧૯માં પછીથી ભારતે ઓસ્ટ્રેલિયાને એની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં પછડાટ આપી હતી.