ઈંગ્લેન્ડના પ્રવાસમાં ખેલાડીઓને પરિવારની સાથે જવાની મંજૂરી
ખેલાડીઓએ લાંબો સમય બાયોબબલમાં રહેવું પડશે : મહિલા ટીમ પણ પરિવારના સભ્યોને સાથે લઇ જઇ શકશે
નવી દિલ્હી, તા. ૧ : ભારતની પુરુષ અને મહિલા બન્ને ક્રિકેટ ટીમના ખેલાડીઓ અને સ્ટાફના પરિવારના સભ્યોને તેમની સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની મંજૂરી મળી ગઇ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના એક સૂત્રે આ અંગે ખુલાસો કર્યો છે. બીસીસીઆઇએ આગ્રહ કર્યો હતો કે, ખેલાડીઓને તેમના નિકટના લોકોને સાથે લાવવાની મંજૂરી આપવામાં આવે. કેમ કે, કોરોના કારણે તેમને લાંબા સમય સુધી બાયો બબલમાં રહેવું પડશે.
સૂત્રોએ જણાવ્યું કે, આ સારા સમાચાર છે કે ખેલાડીઓ સાથે તેમનો પરિવાર બ્રિટનના પ્રવાસે જઇ શકશે. મહિલા ટીમ પણ તેમના પરિવારના સભ્યોને સાથે લઇ જઇ શકશે. આ એવો સમય છે જ્યારે ખેલાડીઓની માનસિક તંદુરસ્તી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, બીસીસીઆઇ સમજે છે કે પોતાના ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને માનસિક રીતે સારી સ્થિતિમાં રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી મને ખબર છે ઇસીબીએ તેમને (ગાંગુલી અને શાહ)ને મંજૂરી આપી નથી. સામાન્ય રીતે એડમિનિસ્ટ્રેટર્સ ટેસ્ટ મેચ અગાઉ પહોંચે છે, પરંતુ તે ખેલાડી નતી. આથી ક્વોરન્ટાઇનના નિયમો હેઠળ તેમને ૧૦ દિવસ કડક ક્વોરન્ટાઇનમાંથી પસાર થવું પડશે. સૂત્રે કહ્યંર કે, ટીમ સાથે જોડાયેલા નિયમ અધ્યક્ષ અને સચિવને લાગુ થતાં નથી. ભારતીય પુરુષ અને મહિલા ટીમ લંડન થઇને સાઉથમ્પટન માટે રવાના થશે. મહિલા ટીમ બ્રિસ્ટલમાં ૧૬થી ૧૯ જૂન સુધી એકમાત્ર ટેસ્ટ રમશે.