ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાં સરદાર સિંહનો સમાવેશ
નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સરદારસિંહની ભારતીય હોકી ટીમમાં વાપસી થઈ છે. ગુરુવારે ભારતીય પસંદગીકર્તાઓએ અનુભવી મિડ-ફિલ્ડર સરદાર અને ડિફેન્ડર બિરેંદ્ર લાકડાને પણ ટીમમાં જગ્યા આપી છે.
હોકી ઈન્ડિયાએ ગુરુવારે આ ટૂર્નામેન્ટ માટે ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરી. ગોલકીપર પીઆર શ્રીજેશની કેપ્ટનશીપવાળી ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. સરદારસિંહને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય ટીમમાં સ્થાન ન હતુ અપાયુ. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૩ જુનથી નેધરલેન્ડ્સના બ્રેડામાં રમાવાની છે. પસંદગીકર્તાઓએ ડિફેન્ડર રુપિંદર પાલ સિંહ, કોઠાજીત સિંહ અને ગુરીંદર સિંહને ટીમમાં સામેલ નથી કર્યા. તેમજ જરમનપ્રિતસિંહ અને સુરેન્દ્રકુમારને ટીમમાં જગ્યા મળી છે. સ્ટ્રાકર્સની વાત કરવામાં આવે તો લલિત ઉપાધ્યાય અને ગુરજંતસિંહ ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. બીજીબાજુ રમનદીપસિંહની વાપસી થઈ છે. પસંદગીકર્તાએ ગોલકીપર સુરજ કરકેરા અને કૃષ્ણ બહાદુર પાઠકને પણ ટીમમાં જગ્યા આપી છે. શ્રીજેશની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ગત વખતે આ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતને ફાઈનલમાં દુનિયાની નંબર એક ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડયો હતો. ૩૪ વર્ષમાં પ્રથમ વખત ભારતીય ટીમ પોડિયમ પર પહોંચી હતી.