Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

કોરોના પ્રોટોકોલનું પાલન ન કરાતા બોર્ડ ક્રિકેટર્સથી નારાજ

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલાં રોહિત કોરોના પોઝિટિવ : ટેસ્ટ પહેલા ખેલાડીઓની વધુ એક તસવીર સામે આવી તેમાં ખેલાડીઓ રેસ્ટોરન્ટમાં ભોજન કરતા નજરે પડ્યા

નવી દિલ્હી, તા.૩૦ : ઈંગ્લેન્ડ સામે રમાનારી એક માત્ર ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટિવ થયો છે અને તે હાલમાં ક્વોરેન્ટાઈનમાં છે. આ પહેલા વિરાટ કોહલી પણ કોરોના પોઝિટિવ થયો હતો. આ બંને ખેલાડીઓ લંડનમાં શોપિંગ કરતા નજરે પડ્યા હતા. તેમના દ્વારા કોરોના પ્રોટોકોલનુ પાલન નહીં થતુ હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડ નારાજ પણ થયુ હતુ.

જોકે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર તેની ઝાઝી અસર થઈ હોય તેમ લાગતુ નથી. કારણકે એજબેસ્ટનમાં રમાનારી એક માત્ર ટેસ્ટ પહેલા ખેલાડીઓની વધુ એક તસવીર સામે આવી છે અને તેમાં ખેલાડીઓ કોઈ રેસ્ટોરન્ટમાં ભોજન કરતા નજરે પડી રહ્યા છે.

આ તસવીર ક્યારની છે તે તો ખબર નથી પણ ક્રિકેટ બોર્ડે જ્યારે ખેલાડીઓને કોરોના પ્રોટોકોલનુ પાલન કરવા કહ્યુ છે ત્યારે પણ ખેલાડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તસવીર જોઈને એવુ લાગે છે કે, ક્રિકેટ બોર્ડની સલાહનુ પાલન કરવાની જગ્યાએ ટીમ ઈન્ડિયાને હરવા ફરવામાં વધારે રસ છે.

તસવીરમાં જોઈ શકાય છે કે, ખેલાડીઓએ માસ્ક પણ પહેર્યા નથી અને રેસ્ટરોન્ટની બહાર ચાહકો સાથે પણ તેઓ મળી રહ્યા છે. ક્રિકેટ બોર્ડે જાહેરમાં ફરવા બદલ ખેલાડીઓને ખખડાવ્યા છે અને માસ્ક પહેરવાની પણ સૂચના આપી છે. જોકે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કોરોનાની ગાઈડ લાઈનને હળવાશથી લઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યુ છે.

(8:20 pm IST)