Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

હું ભારત માટે નંબર ૪ ઉપર બેટીંગ કરી શકુ છું: ટીમ ઇન્ડિયામાં વાપસીની તક શોધી રહેલા સુરેશ રૈનાનું નિવેદન

ચેન્નઈઃ ભારતીય ક્રિકેટ ટીમથી બહાર ચાલી રહેલ સુરેશ રૈનાનું માનવું છે કે તે હજુ પણ વનડે અને ટી20 ટીમમાં નંબર-4 પર બેટિંગ કરી શકે છે. રૈનાએ છેલ્લી પાછલા વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં ભારત માટે મેચ રમી હતી અને તે હવે ટી20 વિશ્વ કપ પહેલા ટીમમાં વાપસીનો પ્રયાસ કરી રહ્યો છે. વર્ષ 2020 અને 2021મા સતત બે ટી20 વિશ્વ કપ રમાવાના છે.

'ધ હિંદુ'એ રૈનાના હવાલાથી જણાવ્યું, 'હું ભારત માટે નંબર 4 પર બેટિંગ કરી શકુ છું. મેં પહેલા પણ તે સ્થાન પર બેટિંગ કરી છે અને સારૂ પ્રદર્શન કર્યું છે. બે વિશ્વ કપ રમાવાના છે અને હું તક શોધી રહ્યો છું.'

ભારતીય ટીમમાં નંબર-4નું સ્થાન લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલું છે. કેટલાક સમય સુધી અંબાતી રાયડુને નંબર 4 પર રમાડ્યા બાદ પસંદગીકારોએ વિશ્વ કપ માટે વિજય શંકરની ટીમમાં પસંદગી કરી હતી. શંકર ઈજાગ્રસ્ત થયા બાદ યુવા રિષભ પંતને આ સ્થાન પર તક આપવામાં આવી રહી છે, પરંતુ તે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી.

રૈનાએ કહ્યું, 'તે ભ્રમમાં દેખાય છે અને પોતાની સ્વાભાવિક રમત રમી શકતો નથી. સે સિંગલ લેવાનો પ્રયત્ન કરે છે. બોલ રોકે છે અને પછી લાગે છે કે તે વસ્તુને સમજી શકતો નથી.'

તેણે કહ્યું, 'કોઈએ તેની સાથે વાત કરવાની જરૂર છે જેમ એમએસ ધોની ખેલાડીઓ સાથે કરતો હતો. ક્રિકેટ એક માનસિક રમત છે અને પંતને સમર્થનની જરૂર છે જેથી તે પોતાની આક્રમક રમત રમી શકે. તેવું લાગી રહ્યું છે કે હજુ તે સૂચનો પ્રમાણે રમી રહ્યો છે અને તે કામ કરી રહ્યું નથી.'

રૈનાએ તે પણ કહ્યું કે, ધોની હજુ પણ ટીમને ઘણું બધુ આપી શકે છે. તેણે કહ્યું, તે હજુ ફિટ છે. તે એક શાનદાર વિકેટકીપર છે અને હજુ પણ રમતનો સૌથી મોટો ફિનિશર છે. ટી20 વિશ્વકપમાં ભારત માટે ધોની મહત્વપૂર્ણ સાબિત થશે.

(5:19 pm IST)