Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

કોરોના મહામારીના કારણે ભારતમાં યોજાનાર ટી૨૦ વિશ્વકપના આયોજન ઉપર સંકટના વાદળા છવાયા

નવી દિલ્હીઃ કોરોના મહામારીએ ભારતમાં તાંડવ મચાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં દરરોજ ત્રણ લાખ કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં આ સમયે ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે અને વર્ષના અંતમાં ભારતમાં ટી20 વિશ્વ કપ રમાવાનો છે. કોરોનાને કારણે દેશની જે સ્થિતિ થઈ ગઈ છે, તેને જોવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ભારત પાસેથી ટી20 વિશ્વકપની યજમાની છીનવી શકે છે.

ડેલીમેલની ખબર પ્રમાણે ભલે ટી20 વિશ્વકપ શરૂ થવામાં હજુ છ મહિનાનો સમય છે, પરંતુ ભારતની હાલની પરિસ્થિતિ જોતા તેવું માનવામાં આવી રહ્યું છે કે યુનાઇટેડ અરબ અમીરાત (UAE) ને ટી20 વિશ્વકપની યજમાની આપી શકાય છે. અહેવાલ પ્રમાણે આઈસીસીએ યૂએઈને સ્ટેન્ડબાય વેન્યૂ તરીકે રાખ્યું છે. પાછલા વર્ષે આઈપીએલનું આયોજન પણ યૂએઈમાં થયું હતું.

ટી20 વિશ્વકપ પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાવાનો હતો, પરંતુ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરવો પડ્યો હતો. ટી20 વિશ્વકપ માટે ભારતે 9 સ્થળ પસંદ કર્યા છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવાની વાત થઈ છે.

(5:25 pm IST)