Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વિરાટ કોહલી પોતાના પિતાના મૃત્‍યુના થોડા જ કલાકોમાં મેદાન ઉપર આવીને ભારતીય ટીમને પરાજયથી બચાવવા પહોંચી ગયો હતો

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આખી દુનિયામાં નંબર 1 બેટ્સમેન વિરાટ કોહલી પોતાના દૃઢ સંકલ્પથી ટાર્ગેટ અચિવ કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. છેલ્લા 10 વર્ષમાં તેણે અનેક રેકોર્ડ્સ પોતાના નામે કરી છે. પિતાના મૃત્યુ બાદ પણ તે પોતાના લક્ષ્ય પરથી નજર ચૂક્યો નહતો. કોહલીએ તાજેતરમાં જ પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમયને યાદ કર્યો હતો.

29 વર્ષના વિરાટે નેશનલ જ્યોગ્રાફિક ચેનલની એક ડોક્યુમેન્ટ્રીમાં પોતાના જીવનની સૌથી ઈમોશનલ ક્ષણને યાદ કરી હતી. કોહલી ભાવનાત્મક રીતે કેટલો મજબૂત છે તેનો પુરાવો ત્યારે મળ્યો જ્યારે 16 વર્ષનો વિરાટ પિતાના મૃત્યુના થોડા જ કલાક બાદ મેદાન પર ટીમને હારથી બચાવવા પહોંચી ગયો હતો.

કોહલીએ જણાવ્યું, “એ સમયે રાત્રે 3 વાગ્યા હતા. મેં 40 રન સ્કોર કર્યા હતા અને મેચ ચાર દિવસની હતી. બીજા દિવસે મારે બેટિંગ કરવાની હતી. મારા પિતાએ મારા ખોળામાં તેમના અંતિમ શ્વાસ લીધા. એ રાત્રે અમે ઘણા પ્રયત્ન કર્યા પણ અમને કોઈ મદદ ન મળી. એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી ખેલ ખતમ થઈ ચૂકયો હતો.”

વિરાટે જણાવ્યું, “પિતાના ગુજર્યા બાદ મારા જીવનમાં એકાગ્રતા ખૂબ વધી ગઈ. મેં મારા પિતાના સ્વપ્નને સાકાર કરવામાં મારી બધી જ એનર્જી લગાવી દીધી.”

ઉલ્લેખનીય છે કે વિરાટ દિલ્હી અને કર્ણાટક વચ્ચે રણજી મેચમાં રમી રહ્યો હતો. કોઈને આશા નહતી કે પિતાના નિધનના બીજા જ દિવસે કોહલી બેટિંગ કરવા ઉતરશે. કોહલીએ ન માત્ર 90 રનની ઈનિંગ રમી, પણ મેચ પણ બચાવી લીધી.

(4:54 pm IST)