Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનાના કારણે આઇપીએલની આગળની યોજના માટે તમામ ફ્રેન્ચાઇઝીઓ સાથેની ટેલિકોન્ફરન્સ મીટીંગ બીસીસીઆઇએ રદ્દ કરી દીધી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (કોવિડ-19)ની મહામારીને કારણે આઈપીએલ ટૂર્નામેન્ટને પહેલા 15 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. આઈપીએલ પર આગળની યોજનાઓ માટે બીસીસીઆઈએ આ લીગની તમામ ફ્રેન્ચાઇઝીઓની સાથે મંગળવારે ટેલિકોન્ફ્રેન્સ પર મીટિંગ કરવાની હતી પરંતુ બીસીસીઆઈએ તેને રદ્દ કરી દીધી છે.

આ બેઠકને રદ્દ કર્યા બાદ હવે અટકળો તેજ થઈ ગઈ છે કે ક્યાંક આ વર્ષે આ પ્રોફેશનલ લીગનું આયોજન રદ્દ તો કરાશે તો નહીં. ભારતે મહામારી બનેલા આ વાયરસને નિયંત્રણમાં રાખવાના ઇરાદાથી દેશને 31 માર્ચ સુધી લૉકડાઉન કરી દીધો છે. વિશ્વભરમાં આ ઘાતક વાયરસના સંક્રમણથી અત્યાર સુધી 16 હજાર કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે ભારતમાં પણ પાંચસો કરતા મામલા સામે આવ્યા અને 9 લોકોના મોત થયા છે.

કિંગ્સ ઇલેવન પંજાબના સહ-માલિક નેસ વાડિયાએ આ મુદ્દા પર કહ્યું કે, માનવતા સૌથી પહેલા છે, ત્યારબાદ ગમે તે બીજા નંબરે આવે છે. અત્યાર સુધી સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી તો તેવામાં તેનો મતલબ નથી કે હાલ આઈપીએલ પર વાત કરવામાં આવે.

આઈપીએલની અન્ય એક ફ્રેન્ચાઇઝીના માલિકે કહ્યું કે, આ સમયે આઈપીએલના મુદ્દે વાત કરવાનો કોઈ અર્થ નથી. દેશ લૉકડાઉનમાં છે. આપણે અત્યારે આ મુદ્દાનું નિવારણ કરવું જોઈએ જે આઈપીએલથી પણ વધુ જરૂરી છે.

દેશી-વિદેશી સિતારાઓથી ભરેલી 8 ટીમો વાળી આ લીગ પહેલા 29 માર્ચે શરૂ થવાની હતી. આ લીગની પ્રથમ મેચ મુંબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની હતી. પરંતુ કોવિડ-19 વાયરસના પ્રકોપને કારણે તેને 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી હતી.

(4:09 pm IST)