Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વિશ્વકપ-૨૦૧૯માં ભારતીય ખેલાડીઓની સાથોસાથ અન્ય ટીમોની સુરક્ષા તેની પ્રાથમિકતાઃ આઇસીસીના ચેરમેન શશાંક મનોહર

મુંબઈઃ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને કઠઘરામાં ઉભું રાખતા બીસીસીઆઈએ આઈસીસીને જે પત્ર લખ્યો હતો તેનો જવાબ આવી ગયો છે. પત્રમાં બીસીસીઆઈએ વિશ્વકપ દરમિયાન ખેલાડીઓની સુરક્ષા સાથે જોડાયેલા સવાલ ઉઠાવ્યા હતા. તેના પર આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે જવાબ આપ્યો છે. શશાંકે બીસીસીઆઈને વિશ્વાસ અપાવ્યો કે, ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ 2019 દરમિયાન ભારતીય ખેલાડીઓની સાથે-સાથે અન્ય ટીમોની સુરક્ષા તેની પ્રાથમિકતા હશે.

શુક્રવારે બીસીસીસીઆઈએ આઈસીસીને પત્ર લખીને કહ્યું હતું કે, પાકિસ્તાનના એક આતંકી સંગઠને ભારત પર હુમલો કર્યો, જેમાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આગળ લખવામાં આવ્યું કે, આવી ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓની સાથે-સાથે દર્શકો માટે પણ ખતરો છે.

તેના પર મનોહરે કહ્યું, મને બીસીસીઆઈનો પત્ર મળ્યો છે. સુરક્ષા હંમેશાથી આઈસીસીની પહેલી પ્રાથમિકતા રહી છે. તેણે કહ્યું કે, 2 માર્ચે યોજાનારી આઈસીસીની બેઠકમાં બીસીસીઆઈને સુરક્ષા સંબંધિત બીજી જાણકારી આપી દેવામાં આવશે. શશાંકે કહ્યું, 2 માર્ચે દુબઈમાં બેઠક થશે તો અમે બીસીસીઆઈની સાથે તમામ સિક્યોરિટી પ્લાન્સની ચર્ચા કરીશું. વિશ્વકપને લઈને કરવામાં આવેલી તૈયારીથી તેના માહિતગાર કરવામાં આવશે.

તેણે કહ્યું કે, બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલો પત્ર જ બોર્ડ સભ્યોની સામે રાખવામાં આવશે. મહત્વનું છે કે, બીસીસીઆઈએ મનોહરની સાથે, આઈસીસી સીઈઓ ડેવ રિચર્ડ્સન અને કોલિન ગ્રેવ્સ (ઈંગ્લેન્ડ ક્રિકેટના ચેરમેન)ને પત્ર લખ્યો છે. શશાંક દ્વારા તેના પર ચર્ચા શરૂ થયા બાદ બીજા સભ્યો પોતાનો નિર્ણય સંભળાવશે. 

(4:23 pm IST)